પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૩૧]


જ વિષય માનવામાં આવે, ત્યારે પ્રેમને ખુદને ભારે અપમાન અપાય છે; દયારામે પોતાના અનુભવોદ્‌ગારમાં કૃષ્ણ અને ગોપીના પ્રેમના વિગતસર ઉલ્લેખ કરેલા, તેમજ તેઓ જાતે જન્મથી જ સ્વતંત્ર મિજાજના હોવાથી તેમની કવિતા માટે અનેક તર્કવિતર્ક અને અનુમાન કરનારા પંડિતોએ યથેચ્છ અભિપ્રાય ઉચ્ચારેલા છે.

તે જ અરસામાં છોટમે પણ હિન્દીમાં થોડીક ગઝલો લખેલી છે:

દાખલા તરીકે:-

"ગઝલ એક સુન લો મેરી, કુશલતા અપાર સર્જન કેરી !
"કારીગર કૌન હૈ ઐસા, સહિત જીવ દેહ કિયા કૈસા?
"સહસ્ત્ર અષ્ટ માંખી કો અખિયાં ! દેખી કોઇ ગ્રંથમે લખિયાં !


* * * *

"ઐસા અદ્દભુત તમાશા હૈ ! ખાવન્દ કા ખેલ ખાસા હૈ!
"છોટમ ! ભજી લે સોહિ કર્તા ! જગતસેં કાયકો ડરતા ?”

પરન્તુ, 'ગઝલ' શબ્દનો મૂળ અર્થ જોતાં આ ગઝલ સંતોષ આપશે ખરી કે ? 'ગઝલ’ શબ્દનો મૂળ અર્થ ફારસી લેખકો એવો જણાવે છે કે, 'ગઝલ' એટલે પ્રિયતમની પ્રિયતમા સાથેની પ્રેમવાર્તા. 'ગઝલ' શબ્દ સ્ફુટ કરતાં, એક ફારસી લેખક તો એટલે સુધી કહે છે કે:–

"ઈશ્કના રાહમાં નડતી પારાવાર વેદના એ જ 'ગઝલ' ની પંક્તિઓ; ગઝલમાં ખાસ કરીને પ્રિયતમાના વિરહથી થયેલી પ્રેમીની દર્દી દશાનું નિરૂપણ, તેનો વિરહાક્રન્દ, પ્રેમમૂર્તિના સ્વરૂપનું સતત સ્મરણ અને તેનું બયાન, તેના દર્શનની ઉત્કટ આતુરતા, તેના વગરની તેની અસ્વસ્થતા, પ્રેમી જિગરની બળતરાના ઊભરા–દુ:ખભર્યું રુદન વગેરે અવશ્ય હોય છે અને જેમાં એ ન હોય તે ગઝલ 'ગઝલ' નામને પાત્ર નથી.”