પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૫૯ ]

હોય એ છે કે, હૃદયપાત્ર પ્રેમપાત્રને એકને માટે જ ખાલી હોય છે. તમારી બાબતમાં તો સ્પષ્ટ છે કે, તમારું હૃદય મારે માટે ખાલી નથી ! તમારા હૃદયમાં મારે માટે જગા હોય તેના કરતાં તમારી પોતાની ગઝલો માટે વધારે જગા છે !'

આ માશૂકના ઉદ્ગારોદ્વારા આશકોને બહુ ઉપયોગી નસીહત મળે છે. ખરા આશકની દશા તો આવી છે:-

“પ્હડેં ન ઈલ્મકી પોથી ! 'અલિફ બે પે' ન હમ સીખે !
“ફક્ત એક ઇશ્કકી મક્તબમેં હમ નામે સનમ સીખે!”

તાત્પર્ય એ છે કે, સૂફી આશકે ક્રમે ક્રમે પોતામાંની વાસનાઓનો ક્ષય કરીને મુક્ત થવા તરફ નિશાન રાખવું જોઈએ. તેણે 'સાફી' થવું જોઈએ. આસપાસની તમામ સ્થિતિમાંથી અલિપ્ત સાફ-પ્રેમસ્વરૂપ બનવાને જ તેણે મથવું જોઈએ. અનેક બાબતો તરફ ભટકતી વૃત્તિવાળું ચિત્ત 'પ્રેમયોગ' માટે નાલાયક છે. દુનિયાદારી અને ઈશ્કને બન્નેને મેળવવા માગનાર અને બન્નેમાં અક્કેક પગ રાખનારને સૂફીવાદના ઈશ્કમાં ફત્તેહ મળવાનો કેટલો ઓછો સંભવ છે, એ આપણે જોઈ શકીએ છીએ. માત્ર સૂફીવાદમાં જ નહિ પણ પ્રભુના બધા માર્ગોમાં એવી જ વિકટતા છે. પ્રેમસ્વરૂપ ઈસુ ખ્રિસ્તે પણ આપણને એવું જ કહેલું છે:–

“બે માલિકોની સેવા કોઈ માણસ કરી શકે નહિ, કેમકે તે એકને કાં તો ધિક્કારશે કે બીજાને ચાહશે, અથવા તો એકને પક્ષ કરશે ને બીજાને દ્વેષ કરશે. દેવ અને દૌલત બન્નેને તમે નહિ સેવી શકો.” (હોલી બાઈબલ પૃ. ૭૭૧; નવીન સન્ધિ, ૬: ૨૪ )

સૂફી આશકની ભક્તિ નીચેના પ્રેમ કીર્તનમાં આપણે જોઈએ:-

તેરી ઉલ્ફતમેં મર મિટના, શહાદત ઇસ્કો કહેતે હય:
તેરે કૂચેમેં હોના દફન, જન્નત ઇસ્કો કહેતે હય.