પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૭૭]

માનથી સાથે રાખીએ એવાં પણ કેટલાંક ઉમદા જિગરોનો આપણને ગુજરાતી ગઝલિસ્તાન મારફત થોડો-ઘણો પરિચય થાય છે. આમીન.

વિસ્તાર વધારો થયો છે પણ એ અનાવશ્યક નથી; હજી આ લેખને સલામ કરતા પહેલાં આપણે તાજું કરવું જરૂરનું છે કે, ઈશ્કની મસ્તી–શરાબ-સનમ-સાકી અને દિલદારનાં ચુંબનો કવિતામાં ગાવાં કે રદીફ-કાફિયાદાર (અનુપ્રાસાલંકારવાળી) ગઝલો લલકારીને શાયર તરીકે નામના મેળવવી એ ઇશ્કનો કે આવા સાહિત્યનો બિલકુલ હેતુ નથી; એટલું જ નહિ, પણ એ તો, એક સડેલા મુર્દાને ગોયા ટાપટીપથી શણગારીને તેની સાથે ખેલ્યાં કરવા જેવું છે. દુનિયાદારીની ક્ષુદ્ર બાબતોને, માનસિક વિકારોની વાસનાઓને કાયમની પરિત્યજીને પ્રભુ સાથે એક થવું–પાર્થિવ જીવનમાંથી પોતે પ્રેમસ્વરૂપ બનવું અથવા ખરું કહીએ તો, આત્મા–પરમાત્માની એકતાનો સાક્ષાત્કાર કરવો એ જ ઈશ્કનો અને આવા સાહિત્યનો ખરો ઉદેશ છે; અને એ માર્ગમાં પ્રવાસીના આત્માનુભવનું સ્વયંભૂ ગાન એ જ ગઝલ છે. 'ખુદી' છોડીને 'ખુદા' થવું એ બધી ગઝલનો ટૂંકામાં સાર છે અને ચિત્તક્ષોભને લીધે લાગતાં સુખદુ:ખો જેની હકીકતમાં કશી વજૂદ નથી તેને ન ગણકારતાં માર્ગમાં જ લીન અને આત્મરત રહીએ તો જીવનસિદ્ધિ, બેશક, થઈ શકે.

હકીકતનો જે શરાબ શબ્દાન્તરે સૂફીની ગઝલ આશકોનાં જિગરમાં રેડે છે, તે જ સોમરસનું પાન વેદોના કાલમાં આર્ય ઋષિઓએ કરેલું છે અને તે જ જ્ઞાનનો આસવ આર્યાવર્તન ભક્તોએ અને જ્ઞાનીઓએ પીધો છે–પાયો છે–પાયાં કરે છે દેહાધ્યાસ છૂટી જતાં, દેહાભિમાન ગલિત થતાં, બ્રહ્માનન્દ સ્વત: અનુભવાય છે, એ જ સર્વના અનુભવનો સાર છે. एकं सत् विप्रा: बहुधा यदन्ति।એ આપણે જોઈએ છીએ: –