પૃષ્ઠ:Gujaratni Gazalo.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૭૮ ]


'આપા ઓટે, આપ હય, તાતેં રહ્યા લુકાઈ;
'દાદુ પ્રકટ પીવ હય, જો યહ આપા જાઈ.' (દાદુ)

'જબ મેં થા તબ તૂ નહીં, અબ તૂ હય, મે નાહીં
'કહે કબીર નગરી એક્મેં, દો રાજા કહાં સમાઈ ?' (કબીર)

'જ્યહાં રામ ત્યહાં કામ નહીં, કામ ત્યહાં નહીં રામ;
'તુલસી દોનો કયૌં રહે, રવિ-રજની એક ઠામ ?' (તુલસી)

આપણી સતત આત્મકેન્દ્રગામી ઇચ્છા અને લીનતા જ આપણી પૂર્ણતા વા અપૂર્ણતામાં કારણભૂત છે, એ અતિશય સ્પષ્ટ છે. मन एव मनुष्याणां कारणं बन्धोमोक्षयो: ।અને એ મનને જ તદર્પિત–તદ્રૂપ અનુભવવું એ જ જીવનસિદ્ધિનો આબાદ ઇલાજ છે. એવું થતાં આપણે અવશ્ય પરમ સત્યમાં ભળી જતાં અનુભવીશું જ કે, પશુ, પંખી, પ્રાણી અને તરુવિટ૫, અદ્રિ વગેરે જડચેતન હરેક ચીજ એ જ સર્વોપરિ સચ્ચિદાનન્દની તારીફ ખરેખર અશ્રુતપૂર્વ ગઝલમાં નિરન્તર લલકાર્યા જ કરે છે - ગોયા–તેઓ બધાં તે પરાત્પરનાં જ અદ્ભૂત સ્વરૂપ છે અને આપણને તદ્રૂપ હોવાને સાગ્રહ પ્રેમનિમંત્રણ કર્યા જ કરે છે. તેની ઈચ્છાનુસાર તેનો શરાબ આપણને ફના કરો અને આપણે પોતામાં પોતે ખોવાઈ જઈએ, એ સિવાય બીજું કશું ઇચ્છવા કે ચાહવાનું નથી જ.

અને જીવાત્માની એ સ્વયંભૂ પ્રેરણાની આત્મસિદ્ધિ માટે બ્રહ્મવેત્તા મનસૂર, જે કોઈ પણ પન્થ કે સંપ્રદાયની બિલકુલ પરવા કે હિમાયત વગર કેવળ જ નગદધર્મ બતાવે છે, તેને આપણે સાંભળીએ, હૃદયાતરમાં તેનો હરદમ પાઠ કરીએ અને તેને જ પચાવી દઈએ:-

અગર હય્ શૉક મિલનેકા, તો હરદમ લો લગાતા જા:
જલા કર ખુદ નુમાઈકો, ભસમ તન પે લગાતા જા. અગ૨૦