પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
15
ગૃહલક્ષ્મી

સ્તુપાલ ઊભી બજારે પોતાના પુસ્તક-લાદ્યા ટટ્ટુને દોરીને નીકળ્યો ત્યારે દુકાનદારોને હસવાની લહેર પડી. કોઈ વિદ્યાપ્રેમીનું આવું પ્રદર્શન ગામમાં બહુ નિહાળવા મળેલું નહીં. લોકોની હાંસી તરફ એ બેધ્યાન હતો. તેજપાલભાઈએ શો ઉલ્કાપાત મચાવ્યો છે એ જ સૌ પહેલાં સમજી લેવું હતું. એ ઘેર પહોંચ્યો ત્યારે બહેન વયજૂકા એને ભેટવા દોડી આવી, અનોપની ભદ્રામૂર્તિ પરસાળમાં રેંટિયો કાંતતી બેઠી હતી. તેજપાલ પણ હાટેથી આવી પહોંચ્યો.

બધી હકીકત જાણ્યા પછી વસ્તુપાલે નાના ભાઈને પૂછ્યું: “તારે કોઈની સલાહ તો લેવી હતી.”

“મોટાભાઈ, મેં ઉતાવળ કરી નથી. રાતોની રાતો બેસીને અમે ચાર જણાએ મંત્રણા કરી હતી.”

“કોણ કોણ ચાર?”

"ગુરુ વિજયસેનસૂરિ, સોમેશ્વરદેવ, હું અને એક ચોથા - તમે એને નહીં ઓળખો – મેહતા ગામના પટ્ટકિલ દેવરાજ.”

“એ કોણ છે?”

"છે તો એક ગામડાના પટ્ટકિલ, એણે એકલાએ જ ગામડાંમાંથી કુંવરપછેડો ઉઘરાવી દેવાની મામાને ના પાડી દીધી હતી. બીજા તમામ ગામપટેલોએ મામાને આજ સુધી ખવરાવ્યું જ છે. રાજભાગ ચોરાઈ ચોરાઈને વામનસ્થલી તરફ ઊપડી ગયા છે. ખંભાતના વહાણવટી સદીકે વહાણોની સગવડ કરી આપી છે.”

“દેવરાજ પટ્ટકિલનું નામ તો કોઈ લેતું નથી!”

“ના, એ પરદા પાછળ છે. એ એકલો કેમ સ્વતંત્ર રહી શક્યો છે તેની તો ખબર નથી. પણ એ વાતમાં વારંવાર આંસુભેર વિલાપ કરી ઊઠતો હતો કે, મારા પેટના દીકરાનું નખ્ખોદ નીકળી જતું હોય તેવી મારી વેદના છે.”

"રાણીજીનું સર્વસ્વ ગયું?”

“હા, એક હેમની મુદ્રા પણ બાકી ન રહી.”