રહ્યો હતો.
વિજયસેનસૂરિએ ઊંચી પાટ પર ન બેસતાં સૌની સાથે ધરતી પર જ રજોહરણ ફેરવીને નાનું પાથરણું પાથર્યું. પછી વસ્તુપાલ-તેજપાલે મંત્રીપદ સ્વીકારવું કે કેમ તેનો પ્રશ્ન ચર્ચાયો.
સોમેશ્વરદેવે ખબર આપ્યા કે, “રાણા લવણપ્રસાદને તેડવા તો સાંઢિયો આજ સવારનો ગયો છે એટલે એ રાતોરાત આવી પહોંચશે. સવારે જ કદાચ મંત્રી-મુદ્રા સોંપાશે.”
“તો શું કરવું? તમારો મત શો છે?” વિજયસેનસૂરિએ ગંભીરપણે પૂછ્યું.
“સ્વીકારી લેવી. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવું.” સોમેશ્વરે કહ્યું.
“રાજાની મંત્રી-મુદ્રા એ લક્ષ્મીનો ચાંદલોયે હોય અને મેશની ટીલીયે નીવડે,” વિજયસેનસૂરિ બોલ્યા, “આ કાંઈ ઊગતા સૂર્યની પૂજા કરવાની નથી. આ મંત્રીપદ તો લોઢાના ચણા છે.”
“પણ રાણા અને રાણી બન્ને બહુ જ ઇંતેજાર લાગ્યાં.” તેજપાલે કહ્યું.
“વત્સ!” વિજયસેનસૂરિએ સહેજ હસીને જવાબ વાળ્યો, “રાજાને ગરજ હોય છે ત્યારે ગળપણનો પાર રહેતો નથી. પણ એ જ ગળપણ ઝેર થઈ જતાં કેટલી વાર?”
"તો શું કરવું?”
“પહેલાં તો પ્રજામત તમારે પક્ષે મજબૂત છે કે નહીં તે નક્કી કરો.”
“એ તો બે દિવસ પર જ જોવાઈ ગયું છે.” સોમેશ્વરદેવે ઝટ ઝટ કહ્યું.
“ના, એના પર વિશ્વાસ ન રખાય. રાજની સામે હોબાળો ચડ્યો હોય ત્યારની વાત એક છે, અને રાજની સેવા સ્વીકારો ત્યારની વાત જુદી બને છે.”
"તો આપ શું સૂચવો છો ?”
“જો હાડોહાડ જૈન ધર્મનો પક્ષકાર હોત તો કહી દેત કે ઝટ મંત્રીપદ લઈ લો, ઝટ રાજ્યમાં દ્રવ્યપ્રાપ્તિ કરાવી આપો, ને ઝટ ઝટ શ્રાવકો અને સાધુઓ માટે વિશિષ્ટ હકોનાં પત્રકો કરાવી વાળો. પણ એ વાતનો ઇતિહાસ તો દુઃખદ છે. એટલે પહેલું તો એ કહું કે તમારે મંત્રીપદ લેવું હોય તો તમે શ્રાવકોના સમૂહની કે સાધુઓના સંઘની વાહવા પર વિશ્વાસ ન મૂકજો. બીજું, રાજની આંખ બદલે - ને એ તો ગમે ત્યારે બદલે – તે સમયની સદાકાળ તૈયારી રાખજો.”
"કેવા પ્રકારની?”
“દંડાવાની, લૂંટાવાની, જીવથી પણ જવાની.”