પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'ભાગજે, વાણિયા!'
127
 

છું. સાચો શંખ હોય તે બહાર નીકળે.”

એના જવાબમાં સામી સેનામાંથી કશાક ઝણઝણાટ સંભળાયા. એક મહારથી આગળ આવ્યો. એ ઝણઝણાટ એના પગને બાંધેલાં બાર સુવર્ણનાં પૂતળામાંથી ઊઠતા હતા. એની કાયા કદાવરપણામાં આગલા ત્રણેયથી જુદી પડી ગઈ. એના મોં પર રાજતેજ અછતું ન રહ્યું. એના હાથમાં કટારી હતી.

"પધારો, મલ્લરાજ ! પધારો લાટના સાચા રાજવી, શંખા" ભુવનપાલે કળી જઈને પોતાની તલવાર ફગાવી દઈ, કમરબંધમાંથી કટાર ખેંચીને યોદ્ધાની સન્મુખ છાતી સુધી શિર નમાવ્યું. નમો નમતો પણ એ લથડિયાં લેતો હતો.

“રાજવી ! ઓ રાજવી ! ઓ સિંધુરાજના મોભી ! આપ વહેલા કાં ન ઊઠ્યા? મને થકવીને પછી પોતાનું પાણી મપાવવું'તું? કૂડ કરવું'તું, મલ્લરાજ ? પૂતળાં લાજતાં નથી, રાજવી? ખેર ! ખેર ! દાસને બહુમાન દીધું. સોલંકીના ગોલાને મૃત્યુમાં ઊજળો કીધો.”

એવા ટોણા દઈ, ગરદન ટટ્ટાર કરી, પગની જાંઘ થાબડતો ભુવનપાલ સમગ્ર શેષ બળનો સરવાળો કરીને બાખડ્યો.

પહેલો મુકાબલો – ને કટારીઓ સામસામી અફળાઈને ભોંઠી પડી. બીજો મુકાબલો – અને મલ્લોના શિરોમણિ શંખની કટાર ભુવનપાલના કમરબંધ પર ભટકાઈ, પણ માંસનો લોચો ચાખતી ગઈ.

ત્રીજે મુકાબલે ગડગડતી દોટ દઈને ભુવનપાલે આક્રમણ કર્યું. એક લાતના પ્રહાર ભેળો શંખ ડગમગીને નીચે પડ્યો. તેના ઉપર ત્રાટકતા ભુવનપાલના હાથનું કૌવત ઓલવાઈ ગયું. શંખની ઉઘાડી કટાર ભુવનપાલના પેટમાં દાખલ થઈ. આંતરડાનો લોચો ડખોળીને કારી બહાર આવી.

પણ શંખરાજના એ પરાક્રમ પર જયધ્વનિ ગાજ્યા નહીં. કેટલાક સૈનિકોના મોંમાંથી ઉગાર ઊઠ્યોઃ “અરરર!” છે અને આશ્ચર્ય જેવી વાત હતી: જીવલેણ જખમે વેતરાયેલા ભુવનપાલનો દેહ તરફડિયાં મારતો નહોતો, પાણી માગતો નહોતો, હૈયા પર હાથ મૂકીને એ પરમ શાંતિપૂર્વક ખતમ થયો.

"કાં, વાણિયા” એમ કહીને વિજેતા શંખરાજે ઘોડેસવાર મંત્રી તરફ મશ્કરીભરી નજર કરી. પણ એ ખસિયાણો પડ્યો.

વસ્તુપાલ ઘોડા પર નહોતો. ઘોડા પરથી નીચે ઊતરીને એણે હાથમાં ભાલો તોળી લીધો હતો. એણે લલકાર કીધોઃ

“વાણિયાને પણ બે ઘડી ના દાવપેચ શીખવતા જાઓ, શંખરાજ”