લાવ્યા છો?”
"એમની રાવ તો એ કે રાણો ટાઢાહિમ થઈને કાં બેઠા?” સોમેશ્વરે કહ્યું, “રાણાએ કયો એવો દિગ્વિજય કરી નાખ્યો છે કે સુખની તળાઈમાં સૂએ છે?”
પેલી બાઈ ચૂપ બેઠી હતી, તેણે કહ્યું: “કોઈ ચારણે એનો - મારા વીરધવલનો તો એક દુહોયે હજુ કહ્યો જાણ્યો નથી.”
સોમેશ્વરદેવે ટકોર કરી: “એટલે એમનું કહેવું એમ છે કે આપ મંત્રી જ બધી સ્તુતિઓ – બિરદાવલિઓના ધણી બની બેઠા છો.”
“એ કોણ, મદનબા છેને?” વસ્તુપાલ મરક્યો.
પોતાનું નામ મંત્રીમુખેથી સાંભળતાં વાર જ એ સ્ત્રીનું ભરાવદાર કદાવર શરીર શેળાની જેમ સંકોડાઈ ગયું. એ નામની કોઈને ખબર નહોતી. મંત્રીને કોણે કહ્યું. આખો અભાગી ઈતિહાસ કોણે સંભળાવી દીધો !
“ગભરાઓ મા, માડી” મંત્રીએ કહ્યું, “બીજા કોઈને ખબર નથી. બે રાણામાંથી કોઈએ મને પેટ દીધું નથી. તમે અહીં કેટલીક વાર આવી ગયાં છો એ હું જાણું છું, પણ મારું અહોભાગ્ય નહોતું, કે મળી શકું, મા ! તમે તો અમારા પણ માતૃસ્થાને છો. મૂંઝાશો નહીં. રાણાને હું નહીં સૂઈ જવા દઉં.”
મદનરાજ્ઞીનું નામ એ શિવાલયમાં છતું થયું. વાતાવરણ ભારી બન્યું. તે પછી કશી બોલાચાલ ચાલી નહીં. દેવરાજ અને મદનરાજ્ઞી રજા માગીને બહાર અંધકારમાં ઓસરી ગયાં.
તે પછી મોડે સુધી જાગતા રહીને મંત્રીએ ને સોમેશ્વરે વાતો કરી. સવારે સોમેશ્વરદેવ સિદ્ધેશ્વરનું પૂજાજળ લઈને રાણીને આશીર્વાદ આપવા આવ્યા ત્યારે જેતલબાએ પૂછ્યું: “મંત્રી વસ્તુપાલ આવ્યા છે?”
“હા બા, મને કહેતા હતા કે પોતે શત્રુંજય રેવતગિરિની યાત્રાનો સંઘ તૈયાર કરે છે.”
“મને મળવા હજુ આવેલ નથી.”
“કહેતા હતા કે સંઘ કાઢવાનો વિચાર પાછો પડે છે.”
"કારણ?"
“આપણા સંઘને તો સુરાષ્ટ્રના રાજાઓ તરફથી ઉપદ્રવનો ને અપમાનનો પૂરો ભય રહ્યો ખરોને ! વામનસ્થલીનું વેર તો ખેડેલું જ ઊભું છે.”
વામનસ્થલીનું નામ આવતાં જેતલદેવી વાચા હાર્યાં. એની આંખોમાં વિચાર અને લજ્જા ઘોળાયાં. એટલે સોમેશ્વરે તક સાધીને કહ્યું:
"બહાર તો એવી જ વાતો થાય છે કે રાણાજીને આપે જ નબળા પાડીને