પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
194
ગુજરાતનો જય
 

ઘુઘૂલ વધુ વીર કે તેજપાલ સેનાપતિ? કહો મને, નહીંતર મારી ખોપરી આમ કરતે કરતે ફૂટી જશે."

વાડાનું પાછલું એક નાનું દ્વાર તે વખતે ઊઘડ્યું અને મંત્રીના ઘરમાંથી કોઈક આવ્યું માનીને રેવતી ઉઘાડવા ગઈ. આવનાર સ્ત્રીને જોતાં જ સોમેશ્વરદેવે કહ્યું: "કુંવરજી, એનો જવાબ હું દઉં તે કરતાં આ અનુપમાદેવી જ બરાબર દેશે."

“ના – અં – કાંઈ નહીં– એ તો અમસ્તું -” એવાં ગળચવાં ગળતો વીરમદેવ અનુપમાદેવીને દેખી જરીક બેઠક પરથી ઊભો થઈ ગયો; પણ અનુપમાએ પોતાના હંમેશના મીઠા સાદે કહ્યું: “કુંવરજી, બેસી રહો.” પછી દેવ તરફ ફરીને કહ્યું: “એ પ્રશ્ન મેં સાંભળ્યો છે. લો જવાબ પણ દઈ દઉં. ઘુઘૂલરાજ જીભ કરડીને મૂઆ તે કરતાં યોગીની જેમ ઈશ્વરધ્યાન ધરીને સૌને ખમાવતા ખમાવતા ચાલ્યા ગયા હોત તો જીતી જાત. અને વીરતા તો બેમાંથી કોઈની શાની? વીરતા તો જેમણે સૌને પાણી ચડાવ્યું છે તે મોટાબાપુની જ કહેવાય.”

"તો બરાબર.” કહીને વીરમદેવ એકાએક ઊભો થઈ ગયો. એના મનમાંથી કોઈક મોટો ઉકરડો જાણે કે નીકળી ગયો હતો. એક સારી ધૂન એના અંતઃકરણમાં રમતી થઈ. રેવતીની બા, કે જેનું ત્યાં ઊભાં ઊભાં ફાળથી મોં જ ફાટ્યું રહ્યું હતું અને જે પોતાના તરફ કુંવરના લાલ લાલ ડોળા ઘૂમતા કે તરત મોં ફેરવી જતી, તેણે હાશકારો કર્યો. રેવતી તો બેધડક બાપુની પાસે જ ઊભી ઊભી બધું સાંભળતી હતી. એને વીરમદેવનો ડર નહોતો. વચ્ચે વચ્ચે એ પગ પછાડીને ધીરા ધીરા નૂપુરઝંકાર કરતી હતી.

વીરમદેવ ઊઠીને ચાલવા મંડે તે પહેલાં તો રેવતી પોતાના પાલવ નીચે કંઈક લઈને દોડી ગઈ. એણે પોતાનો હાથ વીરમદેવના કપાળ તરફ લંબાવ્યો એટલે વિરમદેવ રેવતી પોતાને મારવા આવે છે માની ચમક્યો. ત્યાં તો કપાળમાં રેવતીની અનામિકા આંગળીનો શીતળ સ્પર્શ થયો. રેવતીએ કંકાવટી લાવીને ચાંલ્લો કર્યો હતો.

રેવતીએ મોં મરોડ્યું. એનો ગર્ભિતાર્થ એ હતો કે “વીર છો કે બીકણ ?”

સોમેશ્વરદેવ એને લઈ રાજગઢ તરફ ચાલ્યા. બીજાને વકરતો ને અજડાઈનો અવતારી લાગતો આ રાજકુંવર અનુપમાને અનુકમ્પાપાત્ર કોયડો લાગ્યો.