પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
5
જાસૂસી

ળતી રાતે વસ્તુપાલ ઘુઘૂલ-વિજયના ઉત્સવો, રાજદરબાર, ઇનામ-અકરામ અને ધામધૂમમાંથી સરી જઈને પોતાના ગુપ્ત-ભુવનમાં જઈ બેઠો. સંસ્કૃત સાહિત્યનાં સર્વોત્તમ પુસ્તકો વાંચતો વાંચતો એ કોઈકની રાહ જોતો હશે એવો ભાગ્યે જ કોઈને વહેમ જાય. ઘરમાં એ એકલો જ હતો. બીજાં સૌ ઉત્સવમાં ગયાં હતાં.

દ્વારપાળે આવી વરદી આપીઃ “સવારવાળા રેખાશાસ્ત્રી આવેલ છે.”

“ક્યાંનો છે?” મંત્રીએ મોં બગાડવું: “સવારે નથી અવાતું?"

“કહે છે કે સવારે તો એને ચાલ્યા જવું છે. એ તો કહે છે કે બાપુનો હાથ જોઈને જ ચાલ્યો જઈશ.”

“મારા હાથમાંથી તે એ શું ખોદી કાઢવાનો છે હવે? બોલાવી લાવો એટલે લપ પતે.”

વૃદ્ધ દેખાતા એ મહેમાનનો લેબાસ જૂના સમયના જોશીઓ જેવો હતો. એ બીતો બીતો અંદર આવ્યો.

"જુઓ મહારાજ !" વસ્તુપાલે કહ્યું. “જે કાંઈ મારી રેખામાંથી જડે તે કૃપા કરીને મને એકલાને જ કહેજો. ઘરનાં બૈરાને મારું વહેલું મૃત્યુ ભાખીને ભડકાવવાં નથી. નહીંતર એ બેના ચૂડા તો ભાંગતા રહેશે પણ હું જ પગચંપી વગરનો થઈ પડીશ.”

“જી, સમજ્યો, હું બાને શીદ બિવરાવું? આપ સો વર્ષના થાઓ”

“ના, ના, એવું થશે તો એ બેઉ વહેલી પહેલી કંટાળી જશે ને મારાથી છૂટવા તમારા જેવા કોઈને મારણના મંત્ર જપાવવા બોલાવશે. બોલો, જે કહેવું હોય તે હમણાં મને એકલાને જ કહી દો.”

સૂચના સમજેલો દ્વારપાળ બહાર નીકળી ગયો. એ બે માણસો વચ્ચે મંત્રીની હથેળી પર જ આંખો રાખતે રાખતે આ વાર્તાલાપ થયોઃ

"બોલ સુવેગ, માળવાથી ક્યારે આવ્યો?"

"આજે સવારે” પેલા માણસે મંત્રીની રેખાઓ પર આંગળી ચીંધતે ચીંધતે