પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જાસુસી
199
 


મંત્રીએ પૂછ્યું, “શા માટે આટલી ઉતાવળે પરિયાણ કર્યું?”

તેજપાલે સમજ પાડીઃ “આબુ ઉપર જો કોઈ જગ્યા એ જોઈ આવે તો તો લૂણિગભાઈના શ્રેયાર્થે બધા દ્રવ્યને અનુપમાના કહેવા મુજબ ત્યાં જ ઠેકાણે પાડીએ. જઈને મહામંડળેશ્વર ધાર પરમારને મળી આવે.”

"હા, અને અનુપમાને બીજું પણ એક સોંપવું છે. ચંદ્રાવતીથી મહાજનનું પત્ર છે. ત્યાંના શ્રેષ્ઠીઓને ધોળકાનું ઘેલું લાગ્યું છે. કેમ અનુપમા, તમારા પિયરના ધનપતિઓ અહીં આવીને વસે તો શું ખોટું છે? ત્યાં બાપડાઓને એ જ માર્ગે નીકળતી ચડાઈઓનો બહુ માર ખાવો પડે છે ! જઈને અનુપમા આંહીં લઈ આવે.” મંત્રી કંઈક કટાક્ષમાં બોલતા હતા.

સાંભળતાં જ અનુપમાનું મુખ ગ્લાનિમાં ડૂબી ગયું. પણ એ પોતાના મનોભાવને તે વખતે તો પી ગઈ.

“અને ત્રીજું કામ – મહામંડલેશ્વરને એક પત્ર હાથોહાથ આપવાનું છે." એમ કહીને વસ્તુપાલે એક પત્ર લાવી સોંપ્યું.

“મારે માર્ગમાં પાટણ રોકાતા જવું છે." અનુપમા બોલી.

“સારું, લવણપ્રસાદબાપુને મારા પ્રણામ કહેજો, ને સાચવજો, કુંવર વીરમદેવની કંઈ વાતો કહેશો નહીં. ડોસાનું દિલ સૂડી વચ્ચે સોપારી જેવું બની જાય છે. એક કોર આપણને નારાજ ન કરવાની કાળજી, ને બીજી કોર આ પૌત્ર પરનું આંધળું હેત. મને તો એ જ ચિંતા છે કે કોઈક દિવસ આવી કૌટુમ્બિક કોમળતામાંથી જ વાત વીફરશે.”

પછી એ પોતાના મનને સંભળાવતો બોલવા લાગ્યોઃ “આ પુનરુદ્ધાર કોના માટે આપણે કરી રહ્યા હશું? કોણ ચણે છે ને કોણ ભોગવશે તે તો કેવળ ભગવાન જાણે ! એકાદ રાજકુળના શ્રેયાર્થે કે લોકસમસ્તના કલ્યાણાર્થે?”