એક દિવસ ઓચિંતી અનુપમાદેવી પોતાને પિયર ચંદ્રાવતીમાં આવી પહોંચી. ધરણિગ શેઠ, તિહુઅણદેવી અને ત્રણેય ભાઈઓ આનંદ પામ્યાં, પણ બહેનના મોં પર તેમણે નિસ્તેજી નિહાળી.
"સારું થયું કે તું પોતે જ આવી, બહેન !" ધરણિગ શેઠે વાત છેડી, “અમારો સંદેશો તો ઠક્કર વસ્તુપાલ-તેજપાલને પહોંચ્યો હતો ના?”
“હા, બાપુજી!” અનુપમાના જવાબમાં સમધારણ લાગણી હતી.
“અમે તો બેટા, ઓસવાળો–પોરવાડોનાં બસો શ્રેષ્ઠી કુટુંબો તારા વરના ને જેઠના નિમંત્રણની જ વાટ જોતા ઉચાળા ભરીને બેઠાં છીએ. તું પોતે અમને ગુર્જર દેશમાં તેડી જવા આવી એનાથી બીજું રૂડું શું? શ્રેષ્ઠીઓનો ઉત્સાહ વધશે.”
"સાચું, બાપુજી !” અનુપમાએ ઓઢણાની કોર કપાળ ઉપર સહેજ વધુ ખેંચતાં ખેંચતાં જવાબ વાળ્યો. તેને પ્રોત્સાહક ચિહ્ન ગણીને ધરણિગ શેઠે બોલવાનો ઉત્સાહ વધુ સતેજ કર્યો.
“હવે તો પાટણમાં જ શા સારુ નાહક અટકવું? ધોળકાની સુકીર્તિ રોજેરોજ આંહીં બેઠે સાર્થવાહકો (વણજારાઓ) પાસેથી સાંભળીએ છીએ. ઠક્કર વસ્તુપાલે અને ઠક્કર તેજપાલે તો હદ કરી, અવધિ કરી. એઈ..ને ધોળકે બેઠા બેઠા વાણિજ્ય જમાવી દેશું અને પાર્થપ્રભુની પૂજા કરશું. ધરમધ્યાન ને વહેવાર બેઉ વાતો સચવાશે. બાકી તો, બહેન ! આંહીં આ ચંદ્રાવતીમાં તો નવાણું ટકાનું જોખમ છે. આ મેવાડ ને નડૂલ, માળવા ને ઝાલોર અમારે કરમે જડ્યાં હતાં ત્યાં લગી તો ખેર, પણ આ યવનોના સપાટા સહ્યા જાય તેમ નથી. ચંદ્રાવતી તો બસ એમને પાકેલા બોર સમું થઈ પડ્યું છે. બસ રસ્તામાં જ ચંદ્રાવતી; હાલતા જાય ને લૂંટતા જાય, દેરાં ભાંગતા જાય, રેશમના તાકા ને તાકા બજારો તોડી તોડીને માથે બાંધતા જાય. અમે તો ગળે આવી ગયા છીએ.”
"તો હું મહાજનને મળીને નિમંત્રણ-પત્ર આપું.”
“હા, બેટા ! તું કહે તો આજ ને આજ એકઠા કરીએ. બાપડા એ તો, બાઈ,