પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
216
ગુજરાતનો જય
 

ઉઘાડી તલવારે વીરમદેવ ! આખા મેળામાં હોબાળો ઊડ્યો. લોકો એકબીજાને ધકેલતાં ને ચગદાતાં ભાગ્યા. વણિકનું બુમરાણ ! પછી તો બાકી જ શું રહે? મલાવની પાળ વટાવી, દરવાજો વટાવી, ઊભી બજારે “મારી નાખ્યો! મારી નાખ્યો !” એવી ચીસો દેતો વણિક રાજગઢમાં પહોંચ્યો.

રાણા વીરધવલ દરબાર ભરીને બેઠા હતા, વણિક ત્યાં જઈ ઢગલો થઈ ગયો. કુંવર વીરમદેવ ખુલ્લા ખડગ સાથે પાછા વળી ગયા, રાણાની આજ્ઞાથી દોડી ગયેલા સૈનિકોએ કુંવરને પકડીને દરબારમાં હાજર કર્યા.

જેતલદેવી પણ દરબારમાં નાનેર વીસળદેવને લઈ હાજર થયાં. એના મોં પર ચંડીસ્વરૂપ સળગી ઊઠ્યું હતું. એણે રાણાને રાડ નાખી કહ્યું, “એનું માથું ઉડાવી દો, એ મારું પેટ નથી, પાપ છે. એણે હવે મને સંતાપવામાં બાકી નથી રાખી નાથ, એને ટૂંકો કરો. એ વગર વાંઝિયાં નહીં રહીએ. આ રહ્યો બીજો એક.”

એમ બોલતી રાણી જેતલે વીસળદેવના માથા પર હાથ મૂક્યો, વીસળે પોતાના મોટાભાઈ વીરમ તરફ સ્મિત કર્યું. વીરમના અગ્નિમાં ઘી હોમાયું: બીજો એક છે એથી કરીને જ પોતાનું પલ્લું આટલું હેઠું બેઠું છે. અને એટલે જ રાજગાદીથી બાતલ કરવાની આ દમદાટી દેવાયા કરે છે, એ વિચારે એણે વીસળદેવ તરફ ચકળવકળ ડોળા ઘુમાવ્યા. એ ડોળામાં ભ્રાતૃહત્યાની વાંછના ડોકાતી હતી.

રાણા વીરધવલ, ક્રોધને જીતનારા, ક્ષુબ્ધતાને પી જનારા, કાળના મારણહાર, એણે પણ વીરમની આંખોમાં સળગતો વીસળ પ્રત્યેનો ભાવ નિહાળ્યો, અને એણે ક્ષણભર વિચારમાં પડીને પછી ઊંચું જોયું; આ શબ્દો કહ્યાઃ “કુંવર ! બીજે બધે બનતું હશે, મારા ધોળકામાં આ નહીં બની શકે. આ વૈશ્યો તો મારા જંગમ લક્ષ્મીભંડારો છે. જેને લઈને હું ઊજળો છું. તમારા વગર મારે ચાલશે, એમના વગર નહીં ચાલે. જાઓ હવે, તમારું આંહીંથી કાળું કરો, મોટા બાપુ પાસે પાટણ રહેજો. સુધરી શકો તો સુધરજો, આવે ને આવે ઢંગે ધોળકામાં પગ મૂકવાની આશા રાખશો મા.” એમ કહીને રાતોરાત રાજવી માતપિતાએ પાટવી કુંવરને દેશવટો દીધો હતો.

સમાચાર સાંભળીને અનુપમાનો જીવ ઊંડો ઊતરી ગયો. એણે સ્વામીને પૂછ્યું: “તમે ધોળકામાં નહોતા ?"

"હું ત્યારે રાજસભામાં જ બેઠો હતો.”

"ને છતાં તમે રાણાજીને આ પગલું ભરતાં રોક્યા નહીં?"

“શીદ રોકું? ટાઢે પાણીએ ખસ કાઢી!”

"ખોટું થયું,” અનુપમાએ ઊંડા દુઃખનો ઉદ્દગાર કાઢ્યો, “હું હોત તો આ