પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વામીની ભૂલ
217
 

ન થવા દેત.”

“તો કોઈક દિવસ એ આપણા લૂણસીનો પ્રાણ લેત.”

“ગુરુ નહોતા?”

"કોણ સોમેશ્વરદેવ? ના, એ તો સોમનાથ ગયા.”

“અમારા બેમાંથી એક ત્યાં હોત ! તમે રજા આપો તો હું હજુય એમને પાછા લાવું.”

“ના, હવે તો બેઉ વાતે બગડશે. ને આપણે તો ઠીક, એનાં સગાં માવતર જ એનાથી ત્રાસી ગયાં હતાં. મોટાભાઈએ પણ આ લપ ધોળકામાંથી ટળે એમ ઈચ્છ્યું હતું."

“એમની પણ ભૂલ થઈ છે.”

“તું તો સૌની ભૂલ જ ભાળે છે ના !”

પતિને દુભાયેલા દેખી અનુપમાએ આખી વાત અંતરમાં ઉતારી દીધી. તેજપાલે કહ્યું: “મોટા રાણાએ પણ અમારું પગલું પસંદ કર્યું છે.”

“એ તો આપણા પગલા આડે કદાપિ એક બોલ સુધ્ધાં કાઢનાર નથી. પણ, સ્વામી ! એને વીરમદેવ બહુ વહાલા છે. એના હાથમાં કુંવર વધુ વણસી જશે. એક માનવી માનવીપણામાંથી ટળી જશે. એક શત્રુ ઊભો થશે.”

“તો તો રાજનીતિમાં બીજો ઉપાય નથી. જળવાય તેટલું જાળવીએ, તે પછી તો શત્રુને શત્રુની જ ગતિએ પહોંચાડવો રહે."

પતિ એક પહાડ જેવડી ભૂલ કરી રહ્યો હતો, રાજનીતિના ઊંધા જ દાવ નાખી બેઠો હતો, એક વિષવૃક્ષ વાવી રહ્યો હતો, એવું એવું ઘણું ઘણું વાવાઝોડું અનુપમાના મન સોંસરું ચાલ્યું ગયું.