પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાચક ભટરાજ
227
 

છે સૌરાષ્ટ્રભૂમિ ! ભૂતાવળ નથી તો છે શું બીજું?”

અજબ જેવી વાત હતી કે આ વૃદ્ધ નર અને યુવાન નારીના યાત્રીવૃંદ આગળ ભટરાજનો ઘોડો એકસરખી ચાલ કાઢી થનગનાટ કરતો ચાલવા લાગ્યો.

સુખપાલમાં બેઠેલા વૃદ્ધ શ્રાવકજીને જાણે આ ભટરાજની કશી પરવા જ નહોતી ! તેમની હાથજોડ, તેમના મોંની ચેષ્ટા, તેમના બબડાટ, તેમની આંખો, બધાં તેમની ધર્મઘેલછા જ સૂચવતાં હતાં. સૌરાષ્ટ્રભૂમિને એ વારંવાર “વાહ દેવભૂમિ ! તરણતારણી ! આત્મોદ્ધારણી !” કહી કહી વંદતો હતો અને ઘોડેસવાર ભટરાજ એની મશ્કરી કરતો લાગે છતાં એના બોલવામાં ને એની ચેષ્ટઓમાં ઊંડો રસ લેતો હતો.

ઘોડેસવાર ફરી બબડ્યો– “અનુભવ થશે એ તો કેવીક દેવભૂમિ છે તેનો ! ના, પણ ખરા, બેય ભાઈઓ ખરા છે ! કોઈએ ન વગાડ્યું હોય એવું સાચોસાચ સાંબેલું વગાડી રહ્યા છે. અંદર જુઓ તો... ઠીકાઠીક છે બધું!"

પાલખીમાં બેઠેલ બુઢ્ઢો પુરુષ તો આ ટકોરા પ્રત્યે બહેરો જ હોય તે રીતે પોતાની ભક્તિઘેલછામાં મગ્ન હતો, પણ એની સાથેના બીજા સુખપાલમાં બેઠેલી જુવાન બાઈ જાણે કે મોતી વીણે તેવી ખંત રાખીને આ ઘોડેસવારના શબ્દો પકડતી હતી.

ધીરે ધીરે ઘોડેસવાર અને આ સ્ત્રીની પાલખી લગોલગ આવી ગયાં.

"કેમ, તમે પણ સંઘમાં છો કે?” પાલખીવાળી યુવતીએ ઘોડેસવારની સાથે વાત આદરી.

“એક રીતે તો ખરા જ ને!”

“કેમ એક રીતે?”

"અમે તો માળવાના શ્રેષ્ઠીઓ આવેલ છે તેના વોળાવિયા હતા. અમે શ્રાવક નથી; ક્ષત્રિય છીએ.”

“તે પણ જિનપ્રભુની સેવા જ છેના ! પ્રભુની સમક્ષ શ્રાવક-અશ્રાવકનો ભેદ ક્યાં છે?”

"પ્રભુ ભેદ રાખે કે ન રાખે, માણસ પાસે પ્રભુનું શું ચાલે? નહીંતર મારી નોકરી શું કામ તૂટે?”

"ક્યાં નોકર હતા? કોણે તોડ્યા?”

“આંહીં ધોળકામાં જ હતો.”

“કયા ખાતામાં

"સૈન્યમાં.”