પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાચક ભટરાજ
229
 

પાટણને તોડવા.”

“તમે ભૂલ કરો છો. જિનપ્રભુ તેમને સર્વને આંધળાભીંત કરી મૂકશે. પણ તમે પરદેશી છો, ભટરાજ. વળી પાછા આહીંની સેનામાંથી તૂટીને માળવે ગયા છો. માટે આવું કાંઈ બોલતા નહીં. કોઈક નાહક વહેમાશે.”

“હા, એ ખરું. હું રહ્યો સાચક માણસ, ને ક્યાંક બોલાઈ જાય. તો તો હું પાછો જ ફરી જાઉં એ જ ઠીક નહીં?”

એમ કહીને એણે ઘોડો થંભાવ્યો.

“ના રે ના, એવું કાંઈ નથી. પણ કોઈ વહેમાય કે ચાડી ખાય નહીં તેવા ધણીની નોકરીમાં રહી જજો.”

"એવા તો આંહીં અંતરિયાળ કોણ મળે, શેઠાણીજી?”

“મળી રહે એ તો. તમારા જેવા સાચક બહાદરની જરૂર તો ઘણાને પડે. ચાલોને તમતમારે, કોઈક એવો ન મળે ત્યાંસુધી આપણી જોડે જ પડાવ રાખજો. મને કે આમને કંઈ વધુ વાતો કરવાની ટેવ જ નથી એટલે તમને ને અમને ફાવે તો જોજો.”

"પણ હું તો તમને કહી રાખું છું, શેઠાણીજી ! કે હું રહ્યો સાચક માણસ તમારે વસ્તુપાલ શેઠનાં વખાણ જોતાં હોય તો મારામાં નહીં ઠરો.”

"ભટરાજ! આપણે એમની વાત જ શીદ કરવી? હું તમારા જ જેવા સ્વભાવની છું. અમને લપછપ ગમતી જ નથી. ધર્મને વખતે ધર્મ, ને સંસારને ટાણે સંસાર. ધર્મ ને સંસારની સેળભેળ અમે કરતાં જ નથી. વળી ધર્મ તો આ અમારા શ્રાવકજી એટલો બધો કરે છે કે મારે તો નિરાંત છે. એના ધર્મમાં મારો અરધો ભાગ છે. હું તો ખરું કહું છું કે આંહીં આનંદ કરવા આવી છું. એમને સંસારી વાતોમાં રસ નહીં એટલે મને તો એકલું એકલું લાગે છે. તમે હશો તો જૂના વખતની, સૈન્યની, શૌર્યની, પ્રેમની વાતો તો સાંભળશું. ને વળી તમે તો પાકટ, એટલે આમને પણ કઈ ચિંતા ફફડાટ નહીં.” એમ કહીને એ ગોરીએ બુઢ્ઢા પ્રતિ હાથ ચીંધી, અંતરને વલોવી લે તેવો એક મિચકારો આ ભટરાજને હૈયે હુલાવ્યો. ભટરાજે કહ્યું: “એ ખરું છે. અમો તો અસલ ક્ષત્રી. ગુર્જરો જેવા નકલી નહીં. મગદૂર નથી કોઈની કે તમારા પડાવમાં પગ મૂકી શકે.”

આમ આ શેઠાણી અને માળવી ભટરાજ વચ્ચે ધોળકા પહોંચતાં સુધીમાં ઘાટો સંબંધ બંધાઈ ગયો. સંઘને એકત્ર થતાં પાંચદસ દિવસ લાગ્યા. દરમ્યાન બુઢ્ઢા શ્રેષ્ઠી ધર્મભાવે ઓગળી જતા એકેએક દેરાસરમાં ઘૂમી વળ્યા. શેઠાણી એકાદબે ઠેકાણે જઈને કંટાળી જતી. બુઢ્ઢા શ્રેષ્ઠી એને ઘણું ઘણું સમજાવી પરાણે સાથે