પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાધુની ચેતવણી
249
 


"આપ પણ કેમ મને ત્યજી ગયા હતા?”

“એક વાર ધોળકે આવેલો, પણ મંત્રીના ઘરને બદલે, ભદ્રા કુમારદેવીના પુત્રના ઘરને બદલે, કોઈ મદ્યપી (દારૂડિયા)નું ઘર દેખી પાછો વળી ગયેલો.”

પાંચસો બ્રાહ્મણો હંમેશાં મંત્રીને ઘેર વેદપાઠ કરતા હતા તે વાત જૈન સાધુને ખટકી હતી તે દિવસનું વસ્તુપાલને સ્મરણ થયું. એણે કહ્યું: “મને યાદ છે. હું તે વખતે મેડી પર હતો. મને અનુપમાએ કહ્યું હતું. અને ખંભાતમાં પણ આપ એનો અફસોસ કરતા હતા તેવો સંદેશો મને પહોંચતો હતો.”

“મારી ભૂલ મને પાછળથી સમજાઈ હતી. તમે બ્રાહ્મણોની સાથે ભાંગ પીતા ને તડાકા મારતા બેસતા હતા તેને મેં વિલાસ માનેલો, પણ એ તો તમારી રાજનીતિ પુરવાર થઈ છે.”

“આપ એમ કહેશો તેથી હું મલકાઈ તો થોડો જ જવાનો છું?”

"મલકાવું તો પોસાય તેમ ક્યાં છે? તમારી તો એક પછી એક વધુ આકરી પરીક્ષાઓ ચાલી આવે છે.”

"કંઈ નવું?”

“હા રે હા, ઘણું ઘણું નવું. પહેલાં તો ઉત્સવ ઉકેલીને પછી મને આવી મળો એટલે કહું.”

“ઉતાવળ છે?"

"જેટલી કલ્પી શકો તેટલી ઉતાવળ ન હોત તો હું ચાતુર્માસ પૂરા થયે, વળતા જ દિવસે ત્રીસ-ત્રીશ ગાઉનો વિહાર ન ખેંચત. પણ તેનો અર્થ એ નહીં કે યાત્રિકોમાં કોઈક વિહ્વળતા કે શંકાસંદેહ પેદા થાય તેવી દોડાદોડ કરવી. આ તો ભાઈ, વણિકભાઈઓનું તેતર-ટોળું છે. ને આ એમને સૌને મન તીર્થયાત્રા છે, મારે મન તો આ પણ ગુર્જરીના ચાલુ થયેલા યુદ્ધનું જ એક પાસું છે. પતાવીને પછી આવો. રોજના ક્રમમાં જરીકે ઉતાવળ ન બતાવતા.”