પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભક્ત-હૃદય
251
 

ખુદ દેવમૂર્તિ પણ અદ્રશ્ય બન્યાં, ને એના પ્રાણની પ્રેમલગન સચરાચરને વ્યાપી બેઠેલા નિરંજન નિરાકાર કલ્યાણતત્ત્વ સાથે લાગી પડી –

यद् दाये धुतकारस्य, यत्प्रियायां वियोगिनः ।
यद् राधावेधिनः लक्ष्ये, तद् ध्यानं मेऽस्तु ते मते ॥

[દાવમાં જેવું જુગારીનું ધ્યાન, વિરહી પિયુનું જેવું પ્રિયામાં ધ્યાન, તીરંદાજનું જેવું નિશાનમાં ધ્યાન, તેવું જ એકાગ્ર ધ્યાન, હે દેવ ! મારું પણ તારામાં લાગી રહો !]

એની પ્રાર્થના પૂરી થઈ. એનું મન એને વરસી રહેલા શરદ-મેઘ જેવું સમુજ્જવલ ને શુભ્રવરણું, હળવુંફૂલ અને લહેરાતું લાગ્યું.

બપોરે સંઘ નીચે ઊતરતો હતો. વહી જતા શિયાળાની છેલ્લી ચમકી, ડુંગર પર પથરાયેલી કનકવર્તી તડકી સાથે એકરસ બની હતી. પથિકો પાછળ પાછળ ચાલ્યાં આવતાં હતાં ને મંત્રી પોતાના કવિમંડળ તેમ જ શ્રેષ્ઠીમંડળની સાથે આગળ આગળ ઊતરતો હતો. પોતાના પગમાં સ્વાભાવિક વધતા માનસિક વેગને એ મહેનત કરી કરી ખાળતો હતો. અરધો ડુંગરો ઊતરી રહ્યે એને સોએક માલણો સામે મળી. માથા પર ફૂલોના ઝૂંડલા હતા. તેમણે મંત્રીને ઓળખ્યા વગર પૂછી જોયું: “હેં ભાઈ, તમે સંઘમાં છો?”

"હા, કેમ પૂછો છો?"

“સંઘ શું પાછો વળે છે?”

“હા, બાઈઓ !”

“અરેરે અભાગ્ય !" માલણોએ નિઃશ્વાસ નાખ્યા, “અમારે ઘણુંય ફૂલ લઈને વે'લા પહોંચવું હતું. આજ આટલાં વર્ષે જાત્રાળુઓને ફૂલ આપીને રળવાની આશા હતી, પણ અમારે છોકરાંને રોટલા કરી દેવામાં અસૂર થયું.”

"હવે શું કરશો?”

“હવે તો બધાંએ પૂજા કરી વાળી, હવે તો અમારાં ફૂલ કોણ લ્યે?"

"તમે આંહીં થોડી વાર ઊભાં રહેશો, બાઈઓ?” વસ્તુપાલના મનમાં અનુકંપા રમતી હતી, સાથે સાથે એને એક વિચાર પણ સૂઝતો હતો. એણે માલણોને રોકી રાખી, ને સંઘ જ્યારે ઊતર્યો ત્યારે સૌને એણે પૂછ્યું:

“યાત્રિકો, તમે બધા જ દેવોની પૂજા ઉકેલીને પાછા વળો છોને?”

“હા જ તો.” યાત્રિકોએ જવાબ વાળ્યો, “બધા જ દેવોની.”

“નહીં નહીં" વસ્તુપાલે કહ્યું, “તમે એક મહાન દેવને, દેવોના પણ આરાધ્ય દેવને પૂજવો ભૂલી ગયા છો.”

“કયા દેવ ?”