પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
252
ગુજરાતનો જ્ય
 


"જે દેવનું ખુદ આપણા સિદ્ધોએ પણ શરણું લીધું છે તે દેવને.”

“કોને?”

"આ ગરવાને. જુઓ, આ ગિરિ પોતે જ સર્વ તીર્થંકરોના દેવાલયરૂપ નથી શું? આ સિદ્ધાચલ પોતે જ યોગાસન વાળીને બેઠેલો મહાસિદ્ધ નથી શું? કેટલા માનવીને એની વનસ્પતિ, ઔષધિ, જંગલ ને ઝાડી, પથ્થરો ને માટી પોષણ આપે છે ! એ સાક્ષાત્ દેવ નથી શું? હું તો એની પૂજા કર્યા વગર નહીં ઊતરું. લાવ બાઈ, ફૂલ.”

એમ કહીને એણે માલણ પાસેથી પુષ્પો વેચાતાં લઈ નવી જ એક પૂજા ભણી શત્રુંજય પહાડની.

આખો સંઘ એને અનુસર્યો. માલણો રળીને પાછી વળી.

તળેટીમાં આવી પહોંચ્યા પછી પણ એને જોઈતું એકાંત જડવાને ઘણી વાર હતી. એનું સન્માન કરવા માટે સિંહપુરી(સિહોર)ના ગુહિલ ઠાકોર, તાલધ્વજ(તળાજા)ના વાળા ઠાકોર તેમ જ બીજા કંઈક હાજર હતા. તેમનો માનવિધિ પતાવતાં, તેમની ઘોડાંની ભેટો સ્વીકારતાં, તેમની સમક્ષ મોભો અને દરજ્જો સાચવી રાખવાની પોતાની કરડાઈ પર કંટાળો ખાતે ખાતે પણ મંત્રીને રાત પડી. રાતે સંઘજનોના પ્રત્યેક પડાવ પર જઈ જઈ એણે સર્વની સુખસગવડો તપાસી. તે પછી પોતે વિજયસેનસૂરિજી સાથે, કોઈને ગુપ્ત ન લાગે તેવા વાર્તાલાપમાં રોકાયા. એકાદ પ્રહર રાત્રિ વિત્યે એ ઉતાવળે પગલે ઉતારે આવ્યા.

રાત્રિએ સંઘપતિના પડાવમાં એક માણસ પેસતો હતો. ચોકી પછી ચોકી વટાવવામાં એને નડતર થતી નહોતી. મંત્રીની સહીવાળી અમુક મુદ્રા બતાવતો કે તરત એક પહેરેગીર એને અંદરની બીજી ચોકી સુધી પહોંચાડવા આવતો.

એને દિવસે જોનારો કોઈપણ આદમી ઓળખી શકે તેવું નહોતું. વેશપલટાની અને મોંની મુદ્રા બદલવાની એની આવડત આબાદ હતી.

ફક્ત આપણે જ કહી શકવાની સ્થિતિમાં છીએ, કે એ પેલો માલવી ભટરાજ હતો.