પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
254
ગુજરાતનો જ્ય
 

સુધી ન જાણ્યું હોય એવું માનનારો હું થોડો નાદાન છું !”

મંત્રીના આ હળવા ઠપકાથી અને ગર્ભિત પ્રશંસાથી આ માણસ છોભીલો પડ્યો ને એણે ક્ષમા માગી. મંત્રીએ કહ્યું: “સાંભળી લે. મોજુદ્દીનનાં સૈન્ય ચડ્યાં છે તે સત્ય છે. ગુજરાત પર આવે છે કે બીજે જાય છે તે તો કેવળી જાણે. પણ બે શત્રુઓની ભીંસ નહીં પોસાય. પેલા ઢોંગી શ્રેષ્ઠી પાસેનાં આપણે હાથ કરેલાં ગુપ્ત પત્રો બતાવે છે કે સિંઘણદેવ તાપીના કાંઠાથી પચાસ કોસ કરતાં વધુ દૂર નહીં હોય. તેને રોકી રાખવો છે. પણ સૈન્યથી નહીં, આવડતથી. ચંદ્રપ્રભા પાસેથી એક પત્ર મેળવ, ને એ લઈને તું સિઘણદેવ પાસે પહોંચ. વધુ નહીં. ફક્ત પંદર જ દિવસ એને તાપીને આ પાર આવતો અટકાવવો છે. દરમ્યાન તો આપણે પહોંચીએ છીએ.”

“જી, આપ નચિંત રહો. હું યત્ન કરું છું.”

“રેવતાચલ પહોંચીએ તે પહેલાં, તાલધ્વજગિરિ (તળાજા) સુધીમાં તૈયાર થા તો જ તને દરિયામારગ સુગમ પડે. હું મધુમતીના બારામાં એક હળવું વહાણ તૈયાર રખાવું છું. જા તું.”

"આજ્ઞા.” કહીને એ માણસ બહાર નીકળી ગયો અને વસ્તુપાલે આંગળીના વેઢા પર ગણતરીઓ ગણી. એને દિલ્લીના યવન-સૈન્યની હિલચાલના પાકા સમાચાર આપનાર ગુરુદેવ વિજયસેનસૂરિ હતા. દિલ્લી નજીકનું ચાતુર્માસ પૂરું કરીને એ સૂરિએ આ ખબર દેવાને ખાતર જ પવનવેગી પ્રવાસ કર્યો હતો.

વસ્તુપાલના મોં પર ઘડીવાર પ્રસન્નતા રમી રહી. વીતરાગના ત્યાગી બાળને હૃદયે પણ ગુર્જરભૂમિ પ્રત્યેનું મમત્વ વસ્યું હતું એ એના આનંદની વસ્તુ હતી. પચાસ વર્ષના પાકટ તપસ્વીએ આટલા ટૂંકા સમયમાં આખો ખંડ વીંધીને આંહીં સુધી આવવા માટે જાંઘો તોડી નાખી હતી. ઉઘાડા પગે એને ચીરા પડ્યા હતા. આમ હતું ત્યાંસુધી તો ગુર્જર દેશના અભ્યુદયની આશા હતી.

એણે એનો સ્વધર્મ બજાવ્યો તો મારે પણ મારો અદા કરવો રહ્યો. મારે જલદી પહોંચવું જોઈએ અને સૈન્યનું સંચાલન કરવું જોઈએ. તેજપાલને વારંવાર શું મોં લઈને મોતના મોંમાં ઓરું? એ માંડ માંડ આજે યાત્રાએ નીકળ્યો છે. એને પાછો ધકેલીશ તો અનુપમા શું ધારશે?

વિચારના મણકા ફરતા હતા ત્યાં બીજો યુવાન મળવા આવ્યો. મંત્રીએ પૂછ્યું:. "કાં, ક્યાં છે? શું કરે છે?"

“એ રંગશાલામાં છે. નાટક જુએ છે.”

“વારુ, ચાલ.”