પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
260
ગુજરાતનો જ્ય
 

શિલાદિત્યને સંહાર્યો, જેણે કાશીના જયચંદ્રનો બૂકડો કર્યો, તે બધા ગજનીઓ ને ઘોરીઓ, કાબુલીઓ ને ખુરસાણો, મુલતાણો ને મુંગલાણો કેવા હશે?"

સાંઢણી સવાર વીરધવલનું આ બીકણપણું દેખી મૂંગો બન્યો.

તે દિવસ જે ગામડામાં તેણે સાદા મુસાફર તરીકે રાતવાસો કર્યો તેના શિવાલયમાં એક બીજો પડાવ હતો. એક સાંઢણી ને બે જ અસવારો હતા. બેમાંથી જે વીસેક વર્ષનો જુવાન હતો તેના મોં પર ક્ષત્રીવટનાં ચિહ્નો હતાં. એ શિવમૂર્તિ સામે એક પગે ઊભો રહીને હાથમાં પાઘ રાખી પ્રાર્થના કરવામાં મશગૂલ હતો. એના ચહેરા ઉપર અસાધારણ પહોળાઈ ને ચપટાઈ હતી. એનાં જડબાં મોંનો કાન સુધીનો ગોળાકાર રચી દેતાં હતાં. વીરાસન વાળીને એ બેઠો. સામે સમશેર ને ઢાલ ધરી દીધી, હાથમાં માળા લીધી ને પછી એના મોંમાંથી જે સ્વરધારા છૂટી તેના સંગીતમય ઘોષે નાનકડા શિવાલયને છલકાવી દીધું.

અભણ વીરધવલ શિવાલયના ઓટાની કિનાર પર બેઠો બેઠો આ માણસની સ્તવનધારા વગર સમજ્યે સાંભળી રહ્યો. એણે રાયકાને પૂછ્યું: “આ શું ગાય છે?"

“બાપુ, અમારી સરજુ જેવું કાંક લાગે છે.”

"લાગે છે તો લડવૈયો.”

"હા, રાણા ! લાગે છે કોઈક રાજસ્થાની.”

“લહેકા તો અનુપમાદેવીને મળતા જ લાગે છે, નહીં?”

“ચંદ્રાવતી-આબુ પંથકની જ બોલી લાગે છે.”

“આબુવાળાઓએ તો યવનોને જોયા હોય છે, ખરું?”

“હા બાપુ આબુવાળાને તો ઈ વાતના હિલોળા.”

“ત્યારે તો આ જુવાને નક્કી યવનો જોયા હશે.”

થોડી વારે એ પરદેશી પરોણાની પાસે લોકમંડળ એકઠું થયું. સૌના હાથમાં માળા હતી. વીરધવલે એકાએક પ્રશ્ન મૂક્યો: “હે ભાઈ, આ યવનો કહેવાય છે યવનો, એ તે કેવડાક હશે?”

યવનોનું નામ પડ્યું ને શિવાલયના દીવાની જ્યોત જાણે કે થરથરી ઊઠી. કોઈકે કહ્યું કે, “ભાઈ, એ વાત પડતી મૂકો ને બીજી કાંઈક જ્ઞાનની – ભક્તિની વાત કરો.”

"શંકર ભીલડીના નાચે કેમ રીઝ્યા તેની જ વાત સમજાવોને કોઈક?” બીજાએ કહ્યું.

“પણ યવનો –"વીરધવલના આટલા જ બોલાયેલા બોલે ત્યાં બેઠેલાઓમાં એક છૂપી કંપારી પ્રસરાવી. થોડી વારે એક માણસ ઊઠીને, “લ્યો, જય ભીમનાથ !