પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
266
ગુજરાતનો જ્ય
 

ભદ્રેશ્વરના ભીમસિંહે એ ત્રણેયને પોતાની ચાકરીમાં અક્કેક લાખ દ્રમ્મનાં વર્ષાસને રાખી લીધા હતા. એ ત્રણેયની મદદથી મજબૂત બનેલું ભદ્રેશ્વર પાટણને અને ધોળકાને પગલે પગલે ભયરૂપ હતું.

વિચારના તાંતણા આગળ વણાતા ચાલ્યા. સોમ પરમાર ધારાવર્ષદેવનો સંદેશો લઈને પાટણ આવ્યો હતો અને ત્યાંથી જ લવણપ્રસાદે એને સૌરાષ્ટ્રમાં વસ્તુપાલને ખબર દેવા મોકલ્યો હતો. સોમ પણ એ જ કહેવા આવ્યો હતો કે દિલ્લીનું સૈન્ય સિંધ તરફ ગયું છે. સિંધ ભદ્રેશ્વરથી દૂર નથી, અને ભદ્રેશ્વર ગુજરાતનો દ્વારપાળ મટીને છીંડાચોર બને તેવો પલેપલ સંભવ કહેવાય.

"જેતલ !” રાણાએ દુભાઈને કહ્યું, “આ કાગળ તેજપાલને પણ વંચાવ્યો નહોતો ?”

“ના જી.”

“કેમ ?” રાણા વધુ રોષે ભરાયા, “આવી મૂર્ખાઈ ! હવે હું પૂછું કોને ? વાત કોની સાથે કરું ?”

“આપના દીકરા સાથે; મારી સાથે.”

“એટલે ?”

"હેં બાપુજી ! બધી જ ગૂંચો મંત્રીઓ ઉકેલી આપે તો તો અમારી અક્કલને તાળાં જ લાગેલાં રહેને ?”

"ત્યારે તો એમ કહેને કે તે જાણીબૂજીને જ તેજપાલને કાગળ નથી બતાવ્યો !"

"હા બાપુજી ! માનો કે મંત્રીઓ છે જ નહીં, ને આપ જ તોડ કાઢી આપો.”

“મારો તોડ ! મને બીજા દાવપેચ આવડતા નથી. હું તો ભદ્રેશ્વર પર ત્રાટકીને મરી જાણું.”

"આપ એકલા નહીં, આપના દીકરાને પણ ભેળા લઈને.”

“પણ ઘેલી ! આપણી પાસે સૈન્ય ક્યાં છે ? એક સૈન્ય સંઘની સાથે સૌરાષ્ટ્રમાં ગયું છે, બીજું તેજપાલ લઈ ગયો, ત્રીજું આબુ મોકલીએ છીએ, હવે બાકીનું ખસેડીને ધોળકાનો બરડો ફડાવવો છે ?”

“હું ક્યાં સૈન્ય લઈ જવાની વાત કરું છું ?”

"ત્યારે ?"

“આપ અને આપના દીકરા બે જ જાવ.”

“મોંમાં તરણું લઈને ?”

“ના, રાતુંચોળ મોં લઈને. આપનો બેટો એ ત્રણેય સાથે દ્વંદ્વે રમે અને આપ