પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભદ્રેશ્વરનું નોતરું
267
 

ઊભા ઊભા જુઓ. ત્રણેય ચૌહાણો વીર છે. એને બીજી કોઈ નીતિ નહીં જીતે. વીરની નીતિથી જ એ વશ થશે. મારું મન સાક્ષી પૂરે છે.”

“પણ દ્વંદ્વની સલાહ દેતાં તારું હૈયું ધડકતું નથી, દીકરી ?” લવણપ્રસાદ કૂણો પડ્યો.

"ધડકે તો ઘણુંય, પણ શું કરીએ ? ભદ્રેશ્વર સાથેનું સમાધાન તો આપણી છાતી માથે અને કટારની અણીએ જ લખી શકાશે. મને બીજું કાંઈ સૂઝતું નથી.” એમ કહેતી કહેતી એ આંસુનો ઘૂંટડો ગળી ગઈ.

સસરા સ્તબ્ધ બન્યા. જેતલની સ્વાર્પણશક્તિ એની નજરે તરવરી. ગુજરાતને માટે એણે પિયરનો નાશ કરાવ્યો હતો, પુત્રને છાતીએથી ઉતરડી ફેંકી દીધો હતો, હવે એ કંથને અગ્નિમાં ઓરવા તૈયાર થઈ હતી.

"વધુ વિચારની વેળા નથી, બાપુજી ! જે કરો તે તત્કાળ કરો. મંત્રીઓની ગેરહાજરી છે, આપણને શંભુ સુવાંગ જશ અપાવવાના હશે.”

"વીરધવલને શું લાગશે ?”

"એ તો આપના પુત્ર છે, એ તો રાતદિવસ તકને જ માટે તલસે છે. મંત્રીઓ જ બધું કરે અને પોતે બેઠા બેઠા જોતા રહે એ એને કડવું ઝેર લાગે છે.”

પછી લવણપ્રસાદ વીરધવલને મળ્યો, ચૌહાણ ભાઈઓનો કાગળ સંભળાવ્યો. એના જવાબમાં વીરધવલે સહેજ મોં મલકાવ્યું.

"લે, થઈ જા તૈયાર.” એમ કહીને પોતાની યોજના સમજાવી.

“એ તો મારું એકલાનું કામ છે.” વીરધવલે પોતાને માંડ લાગ મળ્યો હોય તેવા તોરથી કહ્યું, “આપની શી જરૂર છે ?”

"જરૂર છે. તું ડરીને દ્વંદ્વમાં પાછો હટે તો ઉપાડીને ઝીંકવા.”

"હા, તો તો જરૂર પધારો.”

બાપદીકરો માત્ર પાટણ જ જવું છે એવું જણાવી પ્રયાણ કરી ગયા. ઝીંઝુવાડે થઈને રણને રસ્તે ભદ્રેશ્વર તરફ ઊતર્યા.