પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
25
નિપુણક

"કાં, મહાત્મા !" સુવેગે કેદીને કહ્યું, “કાંઈ વિચાર થયો, કે એક દિવસ મોડું થાત તો અહીં શી સ્થિતિ બની જાત ? અહીં તો મારા ઉપરનો વિશ્વાસ ઊઠી જવાની અને સૈન્યનું પ્રયાણ થવાની લગભગ તૈયારી જ હતી.”

“હું નિરુપાય હતો, ભાઈ !” કેદીએ કહ્યું. “માલવરાજને ત્યાંથી ધોળા ઘોડાની ચોરી કરી ક્ષેમકુશળ લાટ આવવું સહેલું નહોતું. એ ઘોડાને સંગ્રામસિંહની ઘોડહારમાં પેસાડતાં હું માંડ બચ્યો છું. ઉપરાંત અવન્તીનાથ દેવપાલના હસ્તાક્ષરોનો મરોડ શીખતાં પણ મારો તો દમ નીકળી ગયો.”

“મને એમ થાય છે, નિપુણક, કે તારો થોડો વધારે દમ હું હવે અહીંયાં કઢાવું !”

“તોપણ કાંઈ વાંધો નથી.” નિપુણક નામના એ ગુર્જર ગુપ્તચરે માલવ દેશમાંથી પોતાને મળેલી બાતમીઓ કહી, “પરંતુ હવે અકેક દિવસ જાય છે, ને ગુર્જર દેશ આફતે ઘેરાય છે. હવે એક પણ દાવ ભૂલભર્યો ચાલવા જેવું નથી. મીરશિકાર સિંધદેશમાંથી નીકળ્યો કે નીકળશે એવી સ્થિતિ છે.”

“તને શું સૂઝે છે ? આ સંગ્રામસિંહ અને સિંઘણદેવનો સામસામો ઘડોલાડવો કરાવી નાખશું?”

"ના, તો તો આપણી ગુપ્તચરતા ગુજરાતને ફરી પાછી સંસ્કારહીનતામાં ધકેલી દેશે. મંત્રીની એ સદાની તાલીમ છે કે પ્રપંચો ભલે નછૂટકે કરવા પડે, છતાં આખરે એનું પરિણામ તો એ પ્રપંચોના પ્રાયશ્ચિત્તમાં જ આવવું જોઈએ.”

"તારી વાત સાચી છે. મંત્રીના રોજના પત્રો અને સંદેશાઓ એ એક જ વાત બોલે છે કે, કોઈ રીતે લાટ અને દેવગિરિને ગુજરાતના મિત્રો જ બનાવી લેવા.”

“યવનોના આક્રમણનો સંયુક્ત સામનો કરવાનો અવસર શું એ ત્રણેયને એકત્ર નહીં બનાવે ?”

“તું તો કવિરાજા છે !” સુવેગે કહ્યું, “આ દખણા યાદવ સાથે મેં દિવસો વિતાવ્યા છે. એને ગુર્જર દેશ લૂંટીને પોતાના સીમાડા વધારવા સિવાય કોઈ આકાંક્ષા