પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
294
ગુજરાતની જય
 

લાલાશ, હોઠની કરડાઈ ને જીભની તુમાખી જોવાની ધારણા રાખેલી; તેને સ્થાને અહીં તો તેણે ત્રણ એવા પુરુષોને નિહાળ્યા, કે જેમાંના બેની મુખક્રાંતિમાં કોઈ ગરવા શ્રેષ્ઠીની ભદ્રતા તરવરતી હતી અને ત્રીજાનું વૃદ્ધત્વ વડલા જેવી શીતળ પ્રતિભા પાથરતું હતું. સિંઘણદેવના સ્વભાવમાં બેઠેલું હિંસ્ત્ર પશુત્વ આ દુશ્મનોના વધુ વ્યવહારે સાવ કૂણું પડી ગયું. વિજેતાઓનો પહેલો જ પ્રશ્ન એ હતો કે 'હવે આપને કઈ બાજુ સિધાવવું છે ?'

તેણે પૂછ્યું: “કેમ ?”

વસ્તુપાલે કહ્યું: “ધોળકે પધારો તો બહુમાન કરીએ. દેવગિરિ સિધાવવાના હો તો સાથે ગુજરાતના શિલ્પનું થોડું ભાતું બંધાવીએ. નહીં જવા દઈએ માત્ર એક જ જગાએ."

સિંઘણદેવ અજાયબ થયોઃ “ક્યાં ?”

“ભૃગુકચ્છમાં.” વસ્તુપાલે હાસ્ય કર્યું, “આપના અંતરમાં જે માણસને આપની સાથે દગલબાજી રમ્યા બાબતનો રોષ છે તે જ માણસ માટેનું અભયદાન અમે આપની પાસેથી માગી લઈએ છીએ.”

એવી સિફતથી વસ્તુપાલે લાટના સંગ્રામસિંહને અને સિંઘણદેવને ભેગા થતા અટકાવ્યા. અને સિંઘણદેવ સાથે ત્યાં ને ત્યાં સંધિપત્ર પર મુદ્રાઓ મુકાઈ કે ગુર્જર દેશ ને દેવગિરિ બંનેએ પરસ્પર કદી ચડાઈ કરવાની નથી. એ સંધિપત્ર આપીને વિદાય લેતા સિંઘણદેવને મંત્રી વસ્તુપાલે શિલ્પી શોભનદેવનું રચેલું આરસનું તોરણ ભેટ કર્યું. તેમાં આ બે રાજ્યોની સંધિનાં સાંકેતિક સ્મારકો કોતરાયાં હતાં. સિંઘણ વિસ્મય પામ્યો. આ બધું ક્યારે કરવાની નવરાશ મળી ?

વસ્તુપાલ નમ્ર પ્રત્યુત્તરમાં સમજ પાડી: “અમારે ઘેર તો ગરજનના મહમૂદની તલવાર ફરી ગઈ ત્યારે અમારા ટાંકણાં નહોતાં અટક્યાં, મહારાજ !”

"અને હવે અમારે આપને આપની જ એક થાપણ સોંપવાનું બાકી રહે છે.” એમ કહીને વસ્તુપાલે બીજી એક નૌકામાંથી એક માણસને તેડાવ્યો અને તેને સિંઘણદેવ સામે રજૂ કર્યો.

સિંઘણદેવ ડઘાઈ ગયો. એ સુચરિત હતો. એનું મોં ભોંઠામણથી નીચે નમેલું હતું, પરંતુ તેના શરીરની સ્થિતિ બતાવી આપતી હતી કે ગુર્જરપતિની અટકાયત નીચે તેના પ્રત્યેનો વર્તાવ સલૂણો ને સન્માનભર્યો રહ્યો હોવો જોઈએ.

એને જોઈને સિંઘણદેવની આંખો એક બીજા ચહેરાને શોધવા લાગી. એ પૂછે તે પૂર્વે જ વસ્તુપાલે કહી નાખ્યું: “આપે જેને આપની પોતાની માનેલ તે અમારી તપાસમાં આપની સ્વજન નહીં પણ દારુણ દુશ્મન નીકળવાથી જ અમે પાછી સોંપતા