પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
28
હરિહર પંડિત

રસ્વતી-મંદિરમાં બેઠેલા સોમેશ્વરદેવ બહાર જે જે બની રહ્યું હતું તેનાથી અલિપ્ત રહ્યા તાડપત્ર પર કાવ્યો ટપકાવ્યે જતા હતા. પાસે પુત્રી રેવતીને બેસાડી પ્રત્યેક કાવ્ય કેવું છે તે પૂછતા હતા ને ચર્ચા કરતા હતા. એ કાવ્યોમાં નવાં દેવાલયોમાં ચોડવાની તકતીઓને શણગારવામાં પ્રભુ-સ્તોત્રો હતાં, પોતાના રાણા અને મંત્રીઓની વીરતાના પ્રશસ્તિ-શ્લોકો હતા, સૈકા સુધી રણકી રહે તેવી સૂક્તિઓ હતી.

બહારથી રેવતીની બા આવીને ઉતાવળ કરતાં હતાંઃ “હવે મૂકોને એ પીંજણ પેલા પંડિતજીનો બટુ ક્યારનો વાટ જુએ છે. રાણાજીના દૂત ઉતાવળ કરે છે.”

"જાઉં છું, દેવી ! જાઉં છું. રેવતી, એક – હવે બસ એક જ – વધુ શ્લોક લખ. આમ તો જો ! આ અલંકાર તો જો – લખ, ઝટ લખ, નહીં તો શારદા પછી રિસાઈ જશે.”

“પણ રાજાજી રિસાઈ જશે, પેલા પરદેશી પંડિત કોપાશે, ઉજ્જૈન જઈને અપકીર્તિ કરશે આપણી.” ગોરાણી તાકીદ કરી રહ્યાં.

“અપકીર્તિ ?” સોમેશ્વરદેવ હસીને બોલ્યા, “આપણે ક્યાં ઉજેણીમાં વિજય વર્તાવવા જવું છે ? પરને રીઝવીને શું કરવું છે ? એથી તો ભલેરી મારા ગુર્જરોની કીર્તિકૌમુદી.”

“હેં, બાપુજી !” રેવતીએ સૂચવ્યું: “આ મહાકાવ્યનું નામ જ કીર્તિકૌમુદી રાખીએ તો ?”

“સુંદર ! સુંદર ! ડાહી દીકરી. પણ ત્યાં બહાર કોણ બોલે છે ?”

“પેલો હરિહર પંડિતનો બટુ બબડે છે.” ગોરાણી બોલ્યાં.

“નહીં, નહીં, એ નહીં. કાન તો માંડ રેવતી, તારાં સોખુકાકી કંઈક ગાતાં ગાતાં આવતાં લાગે છે.”

સરસ્વતી મંદિરની નજીક ને નજીક મંજુલ સ્વરો આવતા હતા: काकः किं वा क्रमेलकः ? काकः किं वा क्रमेलकः ? काकः किंवा क्रमेलकः ।