પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
302
ગુજરાતનો જય
 


“મંત્રીજીનો તો આપણી માફક આ વ્યવસાય નહીં ખરોને, પંડિતજી, એટલે પોતે કેવળ નિજાનંદ ખાતર જ સરસ્વતીને સેવે છે.”

“ખરું છે, વાગ્દેવીની એ રીતની ક્રીડા વડે નિજાનંદ, મિત્રાનંદ, નારીરંજન વગેરે અનેક અર્થ સરે છે. સ્પર્ધા અને પરીક્ષામાં તો માથાકૂટનો પાર નથી, પંડિતજી !” હરિહર પંડિતનો પિત્તો ફાટતો હતો.

એ દેખી રાણાજીએ વાતને વધુ આગળ જતી અટકાવીને કહ્યું: “પંડિતવર્ય ! આપને એક પરિશ્રમ આપવા જેવું છે. અહીં અમે વરનારાયણ મંદિર કરાવ્યું છે. તેમાં કોતરાવવાના એકસો ને આઠ શ્લોકો અમારા સોમેશ્વરદેવે રચેલ છે. આપ સાંભળો ને કહો કે એ કેવાક છે."

"સુખેથી.”

સોમેશ્વરદેવે શ્લોક-પાઠ શરૂ કર્યા ત્યારે આખી રાજસભાની સામટી આંખો હરિહર પંડિતના ચહેરા પર ચોંટી. એ ચહેરો જાણે કે ધોળકાની કીર્તિ-અપકીર્તિનું ત્રાજવું બની રહ્યો. શરૂમાં તો સોમેશ્વરદેવના પગ ધ્રુજતા હતા.

જેમ જેમ શ્લોકો ગવાતા ગયા તેમ તેમ હરિહર પંડિતનું ધ્યાન પ્રત્યેક શબ્દ પર એકાગ્ર બન્યું. એના ચહેરા પર પ્રફુલ્લિતતા પ્રસરી. એનું શિર ડોલવા લાગ્યું. એની આંગળીઓ તાલ દેતી થઈ. આખી રાજસભાના નિષ્પ્રાણ ખોળિયામાં નવો જીવ આવ્યો. સોમેશ્વરદેવ પણ ચગી ગયા. રાણા વીરધવલને પોતાની જતી પ્રતિષ્ઠા પાછી વળી લાગી.

શ્લોક-પાઠ પૂરો થયો, સભા એક્શ્વાસ બની, વીરધવલનું મોં મહાન પરોણાની પરીક્ષાનું પરિણામ સાંભળવા તલપાપડ થયું, કરગરી રહ્યું. અને પછી હરિહર પંડિત ચોમેર નજર કરીને રાણાને કહ્યું: “વાહ ! શ્લોકો તો અતિ સુંદર છે.”

“કાંઈ ક્ષતિ? કાંઈ દોષ?” રાણાએ મહેમાનને વધુ ચકાસ્યા.

“એકપણ નહીં લેશમાત્ર નહીં પરંતુ –"એટલો બોલ પડતો મૂકીને હરિહર પંડિતે હોઠને ખૂણે કુટિલ હાસ્ય ફરકાવ્યું.

"કેમ અટક્યા?” સોમેશ્વરદેવે હિંમતમાં આવીને પૂછ્યું, “જે કહેવા જેવું હોય તે સુખેથી કહો, હું તો વિદ્વાનોની ચરણરજ છું, હજુ તો શિષ્ય થવા લાયક છું, કહેશો તે શિર પર ચડાવીશ.”

"ના, કંઈ નહીં જવા દો, કાવ્ય અદ્ભુત છે, પણ – કંઈ નહીં હવે.” હરિહર પંડિત જે કહેવું હતું તે જાણે કે ગળી જતા હતા.

“કહોને, પંડિતજી!” રાણાએ આગ્રહ રાખ્યો.

“કહીશ તો એ હતોત્સાહ થશે.” પંડિતે વીરધવલને કહ્યું: “પડતી જ મૂકીએ