પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હરિહર પંડિત
303
 

વાતને.”

એના પ્રત્યેક શબ્દે રાજસભા વધુ શંકિત અને તલપાપડ બનતી ગઈ.

“નહીં, પંડિતજી!” સોમેશ્વરદેવે હરિહરને ચીંથરાં ફાડતો સમજી લઈ, આગ્રહપૂર્વક માગણી કરી, “આપ મારી દયા ખાધા વગર કહી નાખો, મનની મનમાં ન રાખો.”

"જો એમ જ આગ્રહ હોય તો કહું, રાણાજી! આ શ્લોકો નવા રચેલા નથી.”

"અરે વાત છે કંઈ?” સોમેશ્વર લડાઈના રંગમાં આવી ગયા, “નવા; તદ્દન નવા છે. અનુકરણ માત્ર પણ નથી, કૃપાળુ !”

"ના, અનુકરણ નથી, પણ અપહરણ છે. શબ્દેશબ્દ પારકો ઉઠાવેલો છે.” હરિહર પંડિત બિલકુલ ઠંડે કલેજે, સોમેશ્વરની સામું જોયા પણ વગર, કેવળ રાણા પ્રત્યે જ નજર રાખીને લહેરથી બોલ્યા.

“અપહરણ ! ઉઠાવેલા !” સોમેશ્વરદેવનું રોમ રોમ આક્રમણ કરી ઊઠ્યું. “શામાંથી – ક્યાંથી ઉઠાવેલ? – ઉઠાવેલ કહો છો? આ શું કહો છો, મહારાજ? ઉઠાવેલા !”

“ઉઠાવેલા ને ચોરેલા.”

“ક્યાંથી? શામાંથી?”

"ઉજ્જૈનમાંથી, સરસ્વતી-કંઠાભરણના મંદિરની અંદર કોતરેલી પ્રશસ્તિમાંથી. એ રહ્યા ત્યાં આ બધા જ શ્લોકો. એ તો છે ભોજ મહારાજના વર્ણનના.”

હરિહરના પેટનું પાણી, આ બોલતે બોલતે જરાક હલતું નહોતું. જેમ જેમ સોમેશ્વરદેવ ઉત્તેજિત થતા હતા તેમ તેમ પરોણો ટાઢોબોળ બનતો હતો.

“શી સાબિતી?” સોમેશ્વરની સહનશક્તિ તૂટવા લાગી.

“સાબિતી તો બીજી શી? હું ત્યાં ગયેલો છું. મેં એ શ્લોક ત્યાં વાંચ્યા છે. એટલું જ નહીં પણ મને સુંદર લાગવાથી મેં એ કંઠસ્થ પણ કરેલા છે. જુઓને હું બોલી બતાવું.”

એમ કહીને હરિહર પંડિતે એ એકસો ને આઠ પૂરા શ્લોક ધોળકાની રાજસભાને કડકડાટ સંભળાવી આપ્યા, જેને અંતે ગૌડના પાંચસો શિષ્યોના વૃંદ વિજયની ઘોષણા કરી. રાજસભાના ઘુમ્મટને તેમ જ શ્રોતાઓનાં હૃદયોને વિદારતી એ ઘોષણા રાણા વીરધવલને ઝાંખાઝપટ કરી રહી. સોમેશ્વરદેવની સ્થિતિ તો વર્ણવી ન જાય તેવી થઈ.

પોતાનું મોં લૂછીને હરિહર પંડિતે છેલ્લો પ્રહાર કર્યો: “આથી કંઈ કોઈએ હતાશ થવાનું ન હોય, હો પ્રભુ ! અમે સૌ સમજીએ છીએ કે ધોળકા તો હજુ બાર-તેર