પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
338
ગુજરાતનો જય
 


“તો તમે એને સાચવી શા માટે? એ તો તમારી શત્રુ છે.”

"છતાં એ અમારી નજરે નારી છે, જનેતા છે, અબળા છે.”

"એણે તો ગુજરાત પર કીનો લેવા અમારો રાહ અને અમારો મજહબ સ્વીકાર્યો હતો.”

"એ તો હજુય એ કીનાની આગમાં સળગે છે.” વસ્તુપાલ અનુપમા મારફત જાણી લીધું હતું કે ચંદ્રપ્રભાનો ગુજરાતને રોળી નાખવાનો નિશ્ચય અફર હતો.

“છતાં, તમે પાછી સોંપો છો?”

“કારણ કે એ ફરીવાર ગુજરાતણ બનવાની કટ્ટર ના કહે છે. પછી અમારે એનું શું પ્રયોજન છે? એ ભલે જ્યાં પોતાનું સ્થાન માને ત્યાં જતી.”

"તમારી ગુર્જરીની પણ ગજબ દિલેરી છે, દીવાન ! ઓરતો તરફના તમારા ખ્યાલો અમને ખૂબ વિચિત્ર લાગે છે. દેશદ્રોહીને અમે કુત્તાને મોતે મારીએ. પછી અમે એમની જાત-ભાત જોઈ શકતા નથી.”

"અમારા સંસ્કારની એ વિચિત્રતા છે તે ખરું છે, નામવર ! પણ એ તો અમને માના ધાવણ સાથે મળેલ છે. આપ ફરમાવો તે રીતે એને અહીં પહોંચતી કરું.”

“નહીં દીવાન, એ અમારે ન ખપે. એક નાચીજ ઓરતની એટલી ખેવના કરવા બેસીએ તો સલ્તનતો સ્થપાય નહીં. તમે અક્કેક ઓરત પર સલ્તનતો ડૂલ કરવા બેસો છો એ અમારા લાભની વાત છે.” એમ કહીને મોજુદ્દીન હસ્યો; ને એણે લહેરથી હુક્કાના સુગંધી ધુમાડાને હવામાં ગુંચળાં લેવરાવ્યાં, "જાઓ નિર્ભય રહો, એ ઓરતના જે કંઈ હાલહવાલ તમે કરો તેથી અમને કશી જ નિસબત નથી. પ્યારા દોસ્ત ! તમારા રાણાને અને પાટણના જઈફ સર્વાધિકારીને દોસ્તના સલામ આલેકુમ દેજો.”

મૈત્રીનો રુક્કો અને પ્રભુબિમ્બ માટે પાંચ આરસ-ટુકડાના દાનનો લેખ મેળવીને વસ્તુપાલ ચંદ્રાવતી આવ્યો.