દસેક વર્ષો વીત્યાં હતાં –
વીસળદેવને યૌવનના મોર બેઠા તે ટાણે રાણા વીરધવલની કાયા ખખડી પડી. મરવા જેવડા નહોતા તોયે એને મૃત્યુનાં તેડાં આવતાં લાગ્યાં.
તેજપાલને સાથે લઈને, રોગઘેરાયા રાણાએ ધોળકાવાસીઓનાં ચોધાર રુદનને દિલાસો દેતે દેતે નગરમાંથી વિદાય લીધી. ગંગા-કાંઠે માગતોડા (મતોડા) તીર્થક્ષેત્રે આવીને કૂંડીમાં પ્રવેશ કર્યો.
માટીની મોટી કૂંડીઓ ગંગાનાં નીરમાં તરતી મુકાતી હતી. પ્રત્યેક કૂંડીમાં શ્રદ્ધાળુ માનવીઓ મરણને ભેટવા માટે બેસતાં હતાં. કૂંડીઓમાં પાણી ભરાતાં હતાં, પૂરી ભરાઈ રહેતી હૂંડીમાં ગૂંગળાઈને રોગીનો પ્રાણ સ્વર્ગારોહણ કરતો. જેની કૂંડી વહેલી ભરાય તે ભાગ્યશાળી ગણાતો. જળસમાધિનો એ ચાલુ ધર્માચાર હતો.
બીજાની હૂંડીઓ બૂડી રહી છે, નથી બૂડતી વીરધવલની.
"હૃદયમાં કોઈ આરત રહી જાય છે, દેવ?”
તેજપાલના એ પ્રશ્નનો જવાબ રાણાજીએ દીધોઃ “તેજલ ! તું સાચું કહે છે. રહી જાય છે એક જ ચિંતા, કે ગાદી વીરમને સોંપાશે તો? તો વીસળનું શું થશે?"
“રાણાજી ! જીવને ગતે કરો. વચન આપું છું, ગાદીએ તો વીસળને જ બેસારશું.”
કૂંડી ડૂબી, રાણા ગયા. અનુચરો રોયા, તેજપાલ પાટણ આવ્યો. નગરી રુદન કરતી હતી. ધોળકાવાસીઓને ધૈર્ય નહોતું. પ્રજારુદનનો આવો અધિકારી અન્ય કોઈ રાજા ગુજરાતના ઇતિહાસે જાણ્યો નથી. એક પણ દૂષણ વગરનો એ પૂર્ણધવલ, પૂર્ણોજ્જ્વલ પ્રજા-ચંદ્ર અસ્ત પામ્યો.
વસ્તુપાલે ગાયું –
- (એકેએક ઋતુ આવે છે અને ચાલી જાય છે. પરંતુ, વીર વીરધવલનો વિદેહ થતાં જે બે ઋતુઓ