પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
348
ગુજરાતનો જય
 

“પણ-ફણ કાંઈ નહીં. કબૂલી લો, પછી એનો મારગ નીકળશે.”

વીરમદેવના ભયાનક વિદ્રોહને એ રીતે શાંત પાડીને મંત્રીઓએ થોડા દિવસો જવા દીધા. ઘીને ઘડે ઘી થઈ ગયું. વીરમદેવ આમોદપ્રમોદમાં પડી ગયો, વેરઝેર વિસરી ગયો. પ્રપંચોને પામી ન શક્યો. વિશળદેવે પણ મોટાભાઈને પૂછીને જ પાણી પીવા જેવો દેખાવ રાખ્યો.

દરમિયાન પાટણથી દૂર દૂર કોઈ પડતર જમીનમાં મંત્રીઓએ પાંચ નવાં ગામડાંનાં તોરણ બાંધી દીધાં હતાં. પાંચેનાં નામ પાડ્યાં હતાં. પેટલાદપુર, વિદ્યાપુર, પ્રહલાદનપુર, વર્ધમાનપુર અને ધોળકું.

મહિનાઓ પછી ભાનમાં આવેલા વીરમે પોતાના પ્રત્યેનો વર્તાવ બદલાયો દેખી કરાર પ્રમાણે પાંચ ગામ માગ્યાં.

વસ્તુપાલ કહે કે, “ચાલોને બાપ, તૈયાર જ છે. સંભાળી લો.” લઈ જઈને પાંચ ગામડાં બતાવ્યાં.

“આ શું?” વીરમે પૂછ્યું, “આની વાત ક્યાં હતી?”

"પૂછોને લોકોને આ એ જ નામનાં ગામ છે કે નહીં?"

“નહીં, નહીં, મેં તો નગરો માગેલાં.”

"ઘેલા થયા કંઈ ! પાંચ નગરો માગો છો એવું કોઈ જાણશે તો ઠેકડી કરશે - તમારી ને અમારી સૌની !"

“પણ –"

"પણ વળી શું? નાખી દેવા જેવી વાત શું કરો છો? એ પાંચ નગરો તમને સોંપીએ તો ગુજરાતમાં બાકી શું રહે છે, રાખ ! તે કરતાં તો રાજ જ સંભાળી લેવું' તું ને ! વીસળદેવજી તો બાપડા આપતા હતા. તમે જ ઉદાર બન્યા. ને હવે અત્યારે ગાંડાઈ કરો એ કેમ ચાલશે?”

વીરમદેવ મોં વકાસી રહ્યો. એની પાસે હવે કોઈ પક્ષ નહોતો રહ્યો, તોફાનનું ટાણું ચાલ્યું ગયું હતું.

"ઠીક, ત્યારે તો મારા સમજવામાં ફેર હતો.” એટલું કહીને ગમ ખાઈ ગયેલ વીરમ પાટણથી પલાયન કરી ગયો. ઝાલોર પહોંચ્યો.

વીસળદેવે મંત્રીઓને કહ્યું: “મોટાભાઈ તો ફરી સૈન્ય એકઠું કરી વિદ્રોહ ગવશે. એ કરતાં તો એને પાછા બોલાવો, હું રાજપાટ છોડી દઉં !”

"અરે વાત છે કાંઈ !" મંત્રીઓ વીસળદેવનું પેટ સમજી શક્યા નહીં, એના પિતાને પાણી આપ્યું છે એ એક જ વાત યાદ રાખીને તેમણે વીસળદેવનું રાજ્ય નિષ્કંટક બનાવવાનો નિશ્ચય રાખ્યો. ઝાલોરના રાજા પર એનો સંદેશો ગયો, કે 'તારો