પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પતનનાં પગરણ
351
 

દોડો, ગુરુદેવને તેડી લાવો.”

સોમેશ્વરદેવને ખબર પડી હતી. એ દોડતા આવ્યા. મહારાજે પૂછ્યું: “હવે શું કરવું છે? આ જેઠવાઓ અને બીજા હાથ રહેશે નહીં. મંત્રીને મારી પાડશે. એમને આ શું સૂઝ્યું? હવે હું એમને કેમ કરીને બચાવું ! એ પણ કજિયો કરવા તૈયાર ઊભા છે. એને સમજાવો તો હું ન્યાય કરું.”

સોમેશ્વરદેવે વસ્તુપાલ પાસે જઈ કહ્યું: “આવું તે હોય ! ડાહ્યા થઈને નાનીશી વાતનું આવું વતેસર કરી બેઠા ! ત્યાં જેઠવાઓએ નગરીને માથે લીધી છે. કાપાકાપીના પ્રારંભને વાર નથી. અને જાણો છોને, આખરે તો મહારાજ કોના પક્ષે ઢળશે ! આપ શાંતિ ધારણ કરો તો હું સમાધાન કરાવું.”

વસ્તુપાલે ટાઢોબોળ જવાબ વાળ્યો: “મરણનો હવે શો ભો છે? ઘણું રળ્યા, ઘણું માર્યું, ખાધું ને પીધું. ખવરાવ્યું ને પિવરાવ્યું. તૃપ્ત છું. એકેય અબળખા (અભિલાષા) રહી નથી. એક વાર જો મરવું જ છે તો આવે ટાણે મરવું શું ખોટું છું?”

સોમેશ્વરદેવે પાછા જઈને મહારાજને વાકેફ કર્યા: “પ્રભુ! એ તો મરણિયા બન્યા છે. પણ આવા યોદ્ધાને આમ સસ્તો વટાવી ખાવો છે? જીવતો હશે તો કોઈક દિવસ ગુજરાતના કારમા ઘા આડો ઊભીને ઝીલે તેવો છે.”

“સારું, તો એમને ધરપત આપીને અહીં લઈ આવો.”

આંહીં જેઠવાવંશી સર્વ મોસાળિયાઓને મહારાજે આજ્ઞા કરી: “ચૂપ રહેજો, અને હું કહું તેમ કરજો, નહીં તો બાજી બગડી જાણજો. ગાદીને ઉથલાવી પાડશે. એવા છે વણિકો.”

વસ્તુપાલ સોમેશ્વરદેવની સાથે નિર્ભય પગલાં માંડતા આવ્યા, ઊભા રહ્યા. એની રોષજ્વાલા અંદર હતી, એ બોલતા નહોતા.

મહારાજે મોસાળિયાને બોલાવી આજ્ઞા કરી: “એને પગે પડો.”

જેઠવાઓએ મંત્રીની માફી માગી. વીસળદેવે મૃદુશબ્દે કહ્યું: “આપે જ આ રાજ રળી દીધું છે. પહેલાં આપ મંત્રી હતા, તો આજે પણ મુખ્યાધિષ્ઠાતા જ છો એમ માનજો. નાગડ કામદારને પણ આપની નીચે જ ગણી લેજો. ને મને? મને મરતા બાપુ કોના હાથમાં સોંપી ગયા છે એ શું ભૂલી ગયા?”

ડળક ડળક ડળક... વસ્તુપાલની પાંપણો પાણી ટપકાવવા લાગી. એણે મહારાજને નમન કર્યું.

વિક્રમનું સંવત્સર 1298 બેઠું. વસ્તુપાલ મહારાજ વીસળદેવ પાસે ગયા અને હાથ જોડીને કહ્યું: “રજા લેવા આવ્યો છું.”