પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૩૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પતનનાં પગરણ
353
 

“કેમ વત્સ ! આંહીં જ કાં ?”

“નિર્માણ આંહીંનું જ માંડ્યું હશે ! સાડા દસમે ઘરે બેસીને દુર્ગા તે દિવસ પહેલી સંઘ-યાત્રાને ટાણે બોલી હતીના ! તો ભલે, તેમ જ થાઓ ! દેહમાં વેદના બહુ ઊપડી છે. હવે દીવો ઓલવાતો દીસે છે.”

અન્નપાણીનો આમરણાંત ત્યાગ કરીને પોતે ધૂન ઉપાડી:

“नमोऽर्हद़्भ्यो नमोऽर्दज्भ्यो: અર્હંત ભગવાનને નમું છું.”

અને પછી પોતે દેહ સૌરાષ્ટ્રભૂમિને ખોળે ધરી દીધો.

એના શબને ત્યાં જ અગ્નિદાહ દઈ એનાં ફૂલ તેજપાલે શત્રુંજય પર મોકલ્યાં. અંકેવાલિયામાં એની ભસ્માંકિત ભૂમિ પર એક મંદિર ચણાયું, જેનું નામ સ્વર્ગારોહણપ્રાસાદ હતું.

લલિતા અને સોખુ બેઉ સાથે જ હતાં. બન્નેએ અનશન વ્રત લઈ લીધું અને પતિ પાછળ દેહ વિસર્જ્ર્યો.

ભાઈનાં ફૂલને શત્રુંજય પહોંચાડીને તેજપાલ પાછા ધોળકે આવ્યા. જોડી તૂટી ગઈ. હજુ એને તો આયુષ્યનાં દસ વર્ષ ખેંચવાનાં હતાં.

*

એક દિવસ તેજપાલના આક્રંદે ઘર ગજવી મૂક્યું. રડતોરડતો એ બેઠો હતો – અનુપમાના શબની આગળ. પત્ની, જનની, પ્રેરણામૂર્તિ અને અસંખ્ય ઠપકા-મેણાં ને ટોણા પી જનારી વસુંધરા-શી એ પણ તેજપાલની આગળ સિધાવી ગઈ.

રુદન થંભતું નથી એ જાણી મુનિશ્રી વિજયસેનસૂરિ પૌષધશાળાએથી આવી પહોંચ્યા; બે ઘડી ઊભા રહ્યા, પછી કહ્યું: “વત્સ, એક જ વાત કહેવી છે.”

તેજપાલના ઊંચા થયેલા મોં સામે મુનિશ્રીએ પ્રશ્ન મૂક્યો: “બેમાંથી કયું સાચું?”

"બે – બે શું?” તેજપાલ ન સમજ્યો.

“અમે જે દિવસ ચંદ્રાવતીના ધરણિગ શ્રેષ્ઠીને ઘેર વાગ્દાન કરાવ્યું તે દિવસ અનુપમાં તો કદરૂપી છે એવી કોઈક વાત સાંભળીને વાગ્દાન તોડવા જે ઊભો થયો હતો તે તેજપાલ સાચો, કે આજે જે પ્રાણ વગરના શબ ઉપર વિલાપ કરે છે તે ઘેલો તેજપાલ સાચો !”

તેજપાલ પણ વિ.સં. 1305માં ચાલ્યો ગયો. એના પુત્ર લૂણસી અને વસ્તુપાલપુત્ર જયંતસિંહ પછીનો વધુ ઇતિહાસ ઉપલબ્ધ નથી.