પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

6
મહાપાપનું પ્રાયશ્ચિત્ત

વળતે દિવસે પાટણના શ્રાવકો અને બ્રાહ્મણોએ એક આશ્ચર્ય અનુભવ્યું. રાજગુરુ કુમારદેવ બે શિષ્યોને અને ત્રીજા, પોતાના પુત્રને લઈને એક જૈન ઉપાશ્રયને દ્વારે ચડતા હતા.

કુમારપાળ અને હેમચંદ્રનો જમાનો સોનેરી સોણલાની જેમ ઊડી ગયો હતો. અને વચગાળાના સમયમાં શૈવો અને શ્રાવકો વચ્ચે અંતર વધી ગયું હતું. રાજા અજયપાળે અને ભીમદેવે આણેલી પાટણની અવદશા માટે જૈનો બ્રાહ્મણોને અને બ્રાહ્મણો જૈનોને અપરાધી ગણી રહ્યા હતા. हस्तिना ताङमयमानोडपि न गच्छेत् जिनमन्दिरम વાળો જમાનો ફરી શરૂ થયો હતો. એકબીજાનાં ધર્મસ્થાનકોમાં કોઈ ડોકાતા પણ ન હતા. તેવા કપરા કાળમાં કટુકેશ્વરપ્રાસાદનો શૈવ પૂજારી રાજપુરોહિત જૈન સાધુના અપાસરામાં કેમ પ્રવેશતો હશે? ઉપાશ્રયની અંદર અને બહાર ટોળું જમા થતું હતું.

કમ્મર સુધીના ઉઘાડા દેહ ઉપર ઝૂલતી જનોઈએ અને છાતીને ઢાંકતી શ્વેત દાઢીએ ચાખડી પટપટાવતા વૃદ્ધ બ્રાહ્મણ વિદ્વાન શું કોઈ શાસ્ત્રવાદ પડકારવા મુનિશ્રીહરિભદ્રસૂરિની પાસે જઈ રહ્યા હતા? હરિભદ્રસૂરિ તો માંદગીમાં ઘેરાઈને પડ્યા હતા. પ્રખર શિષ્ય વિજયસેનસૂરિ મરતા ગુરૂની સેવામાં છેલ્લાં પંદરેક વર્ષથી રોકાયા હતા.

કુમારદેવને અંદર આવતા દેખી યુવાન શિષ્ય વિજયસેનસૂરિ પણ હેબતાયા અને માંદગીમાં પડેલા વૃદ્ધ હરિભદ્રસૂરિએ પણ ક્ષોભ અનુભવ્યો.

કુમારદેવે હાથ જોડીને સૂરિજીને શાતા પૂછી; ત્રણેય બાળકોને આગળ કરીને વંદના કરાવી.

શિષ્યોના ને શ્રાવકોના મોટા જૂથ વચ્ચે વીંટળાઈને વૃદ્ધ હરિભદ્રસૂરિ સૂતા હતા. તેમણે અમીભરી દૃષ્ટિથી કુમારદેવને સન્માન્યા અને પાસે આસન બતાવ્યું.

“આમને ઓળખ્યા આપે?” કુમારદેવે બે બાળકો દેખાડીને સૂરિજીને પૂછ્યું.

બન્ને તરફ સૂરિજીની ઝાંખી આંખો ફરી. અણસાર અને રેખાઓ જૂના કાળની