પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
40
ગુજરાતનો જય
 


“ગુજરી ગયા.”

“ગુજરી ગયા? મારે એમને ખમાવવા હતા.” હરિભદ્રસૂરિને યાદ આવ્યાં - આસરાજ અને કુંઅરદેવી પર વીતેલાં વીતકો.

“આપ ભણાવો છો ? સૂરિએ કુમારદેવને પૂછ્યું.

"હું શું ભણાવવાનો હતો?” કુમારદેવની નમ્રતામાં સ્વાભાવિકતાની સુવાસ હતી, “હું તો એમની કેળવણી આપને સોંપવા આવ્યો છું, એ જૈન છે.”

"શૈવોના શત્રુઓ !...” માંદા મુનિએ સ્મિત વરસાવ્યું.

કુમારદેવ પર એ સ્મિતના ઝગારાએ જીત મેળવી. એ બોલી ન શક્યા.

માંદા મુનિની વૃદ્ધ આંખોમાંથી ડબડબ બે આંસુડાં દડીને મોં પરના ખાડામાં વહ્યાં. એની દૃષ્ટિ પોતાના શિષ્ય વિજયસેનસૂરિ તરફ ગઈ. શિષ્ય પોતાના કાન ગુરુના મોં પાસે ધર્યા.

“ભણાવવામાં ગુરુ કુમારદેવનો સાથી થજે, વધુ તો કાંઈ શીખવીશ નહીં, ફક્ત એટલું જ બતાવી દેજે કે આ સંસાર અસાર નથી, મહાસારથી ભરપૂર છે.”

શિષ્ય વિજયસેને શિર નમાવ્યું કે બાળકો તરફ નજર ફેરવી.

ફરી વાર ગુરુએ ઇશારત કરી, ફરી વાર શિષ્ય પોતાના કાન નજીક ધર્યા; ગુરુએ કંઈક કહ્યું કે જે બીજા કોઈએ ન સાંભળ્યું. ફક્ત એટલો શબ્દ સંભળાયો. “ચંદ્રાવતીના ધરણિગ શેઠ – અનોપ – આબુરાજથી પાછા ફરે ત્યારે –"

થોડી વાર આખા ઉપાશ્રયની હવામાં પ્રસન્નતાના પરમાણુઓ પ્રસરી રહ્યા અને કોઈના મોંમાંથી વાણી ફૂટી નહીં. સૂતેલા ગુરુને એક સખત ઉધરસ આવી, તે સાથે એના મોંમાં બળખો ભરાયો, એ બળખાને શિષ્ય વિજયસેને જતનથી પોતાની હાથના કપડામાં લૂછી લઈ જરીકે સૂગ વગર ઠેકાણે કર્યો.

"આ ત્રીજો બાળક કોણ?” ગુરુએ સોમેશ્વર તરફ મીઠી નજર માંડી.

“મારો પુત્ર.” કહીને કુમારદેવે સોમેશ્વરને આગળ કર્યો.

ગુરુનો ચેતનહીન હાથ ફરી પાછો ઊંચો થવા સળવળ્યો ને તેમણે સોમેશ્વરની ખુલ્લા દેહ પરની જનોઈને જતનપૂર્વક હાથમાં લઈ પરમ માર્દવથી પંપાળી: “મજબૂત છે હો ! ન તૂટે તેવી છે. ત્રણ ત્રાગડાઃ ત્રણ ભેરુબંધો: કેવો સુમેળ ! વાહ વાહ ! ગુજરાતનો ખળભળતો દેહ – તેની છાતીએ ત્રણેય જણા ત્રાગડારૂપે ગંઠાઈ જઈને - યજ્ઞોપવીતરૂપ બનજો”

“સોમ !” પિતાએ કહ્યું, “સંતના આશીર્વાદ સ્વીકાર!”

સોમદેવે મસ્તક નમાવ્યું.

“મને આજે આપનાં દર્શન થયાં. મોટી કૃપા. ઘણાં કર્મોં ખપ્યાં મારાં.” જૈન