પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહાપાપનું પ્રાયશ્ચિત્ત
41
 

ગુરુ કુમારદેવને દૃષ્ટિથી ભેટી રહ્યા.

કુમારદેવનો પ્રાણ આ ઉદારતામાં ડૂબી રહ્યો; વાણી ન કાઢી શકાઈ.

જૈન ગુરુ શરીરમાંથી ચાલ્યા જતા છેલ્લા ચેતનને થંભાવીને બોલ્યા: “આપણે – હું ને તમે – જોવા નહીં જીવીએ પણ દિનમાન વળે છે આ ભૂમિનાં. ટીંબો ફરી તપશે. ઉદ્યોત થશે. આ ધરતીના કણેકણે પિંડ પોષાયો છે – આત્મા ધરાયો છે. આ તો માતા છે – સાધુઓની ને સંસારીઓની, સર્વની એકસરખી; એને હું અસાર કેમ કહું? અનિત્ય કેમ કહું? ઢેફે ઢેફે મારા પગ ભમી વળ્યા છેઃ દેવપટ્ટણથી આબુરાજ સુધી ભદ્રેશ્વરથી ભૃગુકચ્છ સુધી: મા સરસ્વતીથી મહી અને નર્મદા સુધીઃ ને મેં સાંભળ્યાં છે – માનાં ધેનુ સમાં ભાંભરડાં. વીરોની જનેતાને વાંઝણી બનેલી દીઠી છે. સૌભાગ્યવતીના વિધવાવેશ નિહાળ્યા છે. હરિયાળાં માતૃચીર ચિરાઈને લીરા થયેલાં ભાળ્યાં છે. ક્યાં ગયા જનનીને ઢાંકનાર ક્ષત્રીપુત્રો ! છો ગયા ! શું થઈ ગયું ! વણિકો ને બ્રાહ્મણો ઢાંકશે માની નગ્નતાને.”

સૌ મૌન ધરી રહ્યા. સાધુએ ફરી કહ્યું: “સ્વપ્ન લાગે છે? ખેર, વિદાય લેનારાઓને સ્વપ્ન જોવાનો તો લહાવ લેવા દેશોને ! સ્વપ્ન ! સોનાનું સ્વપ્ન !”

“આપને થાક ચડશે.”

"હવે ક્યાં ફરીથી આ દેહનો ખપ પડવાનો છે ! થાક તો વધુ મીઠી નિદ્રા નિપજાવશે ને !”

બોલતે બોલતે એના મોંમાંથી થૂંકના છાંટા ઊડતા હતા, લાળો પડતી હતી, ખાંસી ચડતી હતી. તોય એનું મોં, એનાં નેત્રો મલકાતાં હતાં.

"વિજય ! બેટા !” એણે શિષ્યને હાથ ઝાલી સલાહ દીધીઃ “તું શું શીખવવાનો હતો આ નવી પ્રજાને ! તું શું શાસ્ત્રોના થોકડા ગોખાવીશ? તું શું પૂજા ભણાવીશ? નહીં રે નહીં. ચૌદ દેવલોકની ને બાર વિમાનોની વાતો ન ગોખાવતો, ભાઈ ! એવું એવું ભણાવજે કે જેથી જીવવું ને મરવું બેય સરખું મીઠું લાગે. સંપ્રદાયના કીચડમાં અળશિયાં તો પારાવાર ખદબદે છે. વધારો કરીશ મા, વિજય !”

શિષ્યનો ચહેરો દેદીપ્યમાન બન્યો.

“મને આવી ખબર નહોતી.” કુમારદેવથી બોલી જવાયું.

ત્રણેય છોકરાઓ એકીટશે જોતા રહ્યા.

"દીવાલો ! દીવાલો !" ગુરુએ હાંફતી છાતીએ કહ્યું, “દીવાલો ચણાઈ ગઈ છેને ! દીવાલો જ આપણને ભેળા થવા દેતી નથીને.”

“મારી તો દીવાલો તૂટી પડી છે આજે.” કુમારદેવે કહ્યું. એના ખુલ્લા શરીર પરની ભરાવદાર રામાવલિ ખડી, થઈ ગઈ હતી. એનાં નેત્રો બે જળાશયો બન્યાં