પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

8
ગુજરાતનો સર્વાધિકારી

"લે, ભાઈ લવણપ્રસાદ!” એમ કહીને મહારાજ ભીમદેવે એને છાનીમાની મુદ્રા આપી.

"આપણે આ બાબતની કશી હોહા નથી કરવી. સમજ્યોને? તું તારે આજથી સર્વાધિકારી તરીકે બધું કામ કરવા માંડ. રાજના નોકરોને રફતે રફતે બધી ખબર પડી રહેશે એ તો. લે હવે રજા લઈશ. ઔષધિ અને આસવ લેવાનો સમય થઈ ગયો.”

એમ બોલીને મહારાજ ભીમદેવ અંદરના ભાગમાં ચાલ્યા ગયા, ત્યારે લવણપ્રસાદ શૂન્ય ભેજું લઈ ઊભો હતો તે જ સ્થિતિમાં ઊભો રહ્યો. આ સર્વાધિકારીપદ પોકળ હતું. ખજાનો ખાલી હતો. લશ્કરનું નામનિશાન નહોતું. મહારાજ ભીમદેવે બળતું ઘર કૃષ્ણાર્પણ કર્યું હતું.

આસવ પીતોપીતો ભીમદેવ પોતાના વંઠકને કહેતો હતોઃ “આફૂડો હવે નાણાંની જોગવાઈ કરી આવશે, કેમ ખરુંને, બાદલ? આફડો રાજસેવકોને દરમાયા ચૂકવવાની વેતરણ કરશે. હું ક્યા ભવ વાસ્તે એ બધી કડાકૂટમાં પડું !”

લવણપ્રસાદને આ મફતિયા મુદ્રા સ્વીકારવામાં સાર ન દેખાયો. મુદ્રાને હાથમાં ચંચવાળતો એ નિસ્તેજ મુખે ઊભો હતો, ત્યાં તો એને કાને શબ્દ પડ્યો: "આદાબ ! બંદેનવાજ, ગુલામની ઘણી ઘણી આદાબ !"

એ સદીક હતો. છેક દ્વારમાંથી બે હાથ ઝુકાવતો ઝુકાવતો એ આવતો હતો.

“આવો સદીક શેઠ, કાલે તમને તેડાવ્યા ત્યારે તો ના પડાવી દીધી ને આજે –"

"કોણ કહે છે મેં ના પડાવી?” સદીકે ચમકવાનો ડોળ કર્યો, “હું-હું નાચીજ વેપારી પાટણના સરમુખત્યારની ફરમાયેશને અપમાન આપું ! આપને કોઈકે ખોટો અહેવાલ પહોંચાડ્યો લાગે છે.”

"તમે એટલે સુધી બોલ્યા કે રસમ તો મને મારા મુકામે જ આવીને મળવાની છે.”