પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુજરાતનો સર્વાધિકારી
49
 

કિનારાની ચોકી કરતું નૌકાસૈન્ય ખંભાતમાંથી ખસેડી લેવામાં આવ્યું છે. એ વિચારમાં પડી ગયો. તેનો લાભ લઈ સદીકે મારો ચાલુ રાખ્યો:

“એ તો, મારા જનાબ ! મારો અલ્લા પાધરો છે. હું આ બધા ઘુરકાટ કરનારા શત્રુઓનાં મોં ભરીભરીને ચૂપ રાખું છું. બાકી આપણે ઘેર આજે દરિયો નહીં પણ ખાબોચિયું જ છે એમ સમજો, મારાં માવતર ! ખંભાતની આમદાની તો સાવ તૂટી ગઈ છે. આપ આવીને એક વાર તપાસ તો કરો કે અમે બસરા ને જંગબાર સુધીનો જહાજ ચલાવવામાં કેટલું જોખમ ખેડીએ છીએ ! અત્યારે દેશાવરમાં આપણી ઇજ્જત કઈ છે?”

“મહારાજને તો, શેઠ, તમે ગજબ વિલાસમાં ચડાવી દીધા લાગે છે.”

“જરા આંહીં નજીક કાન લાવો, જનાબ” એમ કહીને સાદીકે છેક લવણપ્રસાદના કાન સુધી મોં લઈ જઈને કહ્યું:

“મહારાજ તો તૈયાર થયા હતા ભરૂચના શંખને આંહીં લાવી સર્વાધિકારી નીમવા ! મહારાજની મતિ તો સાવ વીફરી ગઈ હતી ! શંખ એને રોજ અક્કેક બાયડી પૂરી પાડવા તૈયાર હતો. એ આફતમાંથી ગુજરાતને બચાવનાર આ ગુલામને મારવો હોય તો સુખેથી બે જૂતા મારી લો ગાલ ઉપર, બીજું શું કરશો? ઇનામની આશા રાખીને તો હું થોડો જ અહીં પાટણ આવ્યો હઈશ ! ને આપની નિમણૂકની વાત મેં આટલી વહેલી ક્યાંથી જાણી એ પૂછો છો હજૂર, પણ એ નામ મહારાજને ગળે ઉતરાવનાર કોણ છે એય તપાસ તો કરો!”

રાણો લવણપ્રસાદ સદીક શેઠના મોં પર લહેરાતા મીઠા ભાવોના પ્રભાવે માત થઈ ગયો.

"ઠીક છે, ભાઈ ! શેઠ, મારી તમને એક જ વિનતિ છે કે હાલ તો કોઈપણ ઇલાજે ભૃગુકચ્છના શંખને અને દેવગિરિના યાદવ સિંઘણદેવને સાચવી લેજો. હું મારાથી બનશે તેટલું વહેલું લશ્કર તૈયાર કરું છું.”

“હું તો આ રાજનું નિમક ખાનાર છું, રાણાજી ! મને ભલામણ કરવી ન પડે.”

એમ કહીને એ રવાના થયો. લવણપ્રસાદ રાજકચેરી તરફ ચાલ્યો ગયો.

એના ગયા પછી થોડી વારે, રાજકચેરીના એને બેસવાના કાર્યાલયમાંથી જરિયાની ને કિનખાબના ગાલીચા, ગાદીતકિયા જવનિકાઓ વગેરે ઊંચકાઈને જામદારખાના તરફ ચાલ્યાં ગયાં.

સર્વાધિકારીનું કાર્યાલય પહેલી જ વાર પાણકોરાની સાદાઈ ધારણ કરી ચૂક્યું.