પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
10
શાંત વીરત્વ


ધોળકાને હાટડે હાટડે બે માણસો ફરતા હતા ને એમાંનો એક બ્રાહ્મણ વેપારી જેવો દેખાતો માણસ, પોતાના ખેસનો છેડો ઘડી વાર આ ખભે તો ઘડી વાર બીજે ખભે ઉલાળતો, અર્ધ અમલદારી અને અર્ધ મહાજનશાહી તોરથી પ્રત્યેક દુકાને કહેતો હતોઃ -

"કાં, ચાલો છોને મહાજનમાં? મામા પધારેલ છે."

દુકાનદારો પૈકીના કેટલાક આ નોતરાને હોંશેહોંશે વધાવી લઈને “હા જી ચાલો, મામા પધારેલ છે એમ!” એમ કહેતાં સબોસબ બેઠા થઈ જૂતા પહેરતા હતા. બીજા કેટલાક જમનું તેડું આવ્યું હોય એવી ધાક અનુભવી “આવું છું, હો મહાશય!” એવો જવાબ દઈને ચિંતાતુર મોં કરી ઘડીભર લમણે હાથ દેતા હતા.

આખી બજારમાં 'મામા આવેલ છેઃ મામા પધારેલ છે' એવો રણકાર થઈ રહ્યો. ચાલ્યા જતા વ્યાપારીઓના ટોળામાંથી અવાજ ઊઠતા હતાઃ “ઓ સુખપાલ, ઓ ક્ષેમાનંદ, ઊઠો, ઝટ ઊઠો, વેપલો પછી કરજો. મામાનું તેડું છે. નાહકના શીદને આંખે ચડવા જેવું કરો છો?”

બોલનારાઓ જાણે કે ઈરાદાપૂર્વક જ આ શબ્દો બોલતા હતા. તેમનો ઈરાદો ચોક્કસ નામો લઈ લઈને અમુક વ્યાપારીઓને પેલા ખેસધારી ગૃહસ્થની આંખે ચડાવવાનો હતો.

"કાંઈ નહીં ભા, કાંઈ નહીં. બેસી રહેવા દોને એમને કરવા દોને વેપાર ! મામા તે શી વિસાતમાં છે એમને ચમરબંધીઓને !”

એમ ટોણો મારતો એ ખેસધારી ગૃહસ્થ પોતાની સાથે ચાલતા એક રાજપૂતવેશધારીને ન ઊઠનારાઓનાં નામ કહેતો હતો.

રસ્તામાં નાણાવટ બજારમાં એક નાની-શી હાટડીનાં બારણાં બંધ હતાં. એ જોઈને પેલા ખેસધારીએ તિરસ્કારથી કહ્યું: “આ મોટો મલ્લરાજ ક્યાં મૂઓ છે? વેપલોબેપલો કરે છે કે નહીં આ મંડલિકપુરવાળો તેજપાલ?”

ટોળામાંથી કોઈએ કહ્યું: “એ પાણીનાં પાતાળ તો ઊંડાં છે, વામન શેઠ ! તાગ