પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
72
ગુજરાતનો જય
 

ક્યારના યાદ કરે છે.” એમ કહીને એ ખેસ ઉછાળતા વામનદેવે નવા આવનારને ભોંઠો પાડી, બીજાઓને હસાવી હળવા કર્યા.

તેજપાલ, નાનપણમાં તેજિગ નામે આપણે ઓળખેલો તે જ આ યુવાન, કશું બોલ્યા વગર છેલ્લી પંગતની પાછળ બેસી ગયો. મોં પરથી એ જરા મૂઢ અને અણસમજુ દેખાતો હતો. બહુ નિહાળીને કોઈ બુદ્ધિશાળી ઉકેલે તો એની આંખોમાં વ્યથાના અક્ષરો વંચાય.

“એમ બોઘા બનીને બેસી ન જાઓ, શેઠિયા, ઊઠો,” પેલા ખેસ ઉલાળનારાએ લગભગ પચાસમી વાર ખેસ સરખો કરતે કરતે કહ્યું, “તમે મંડલિકપુરથી આંહીં આવી પુષ્કળ કમાયા છો ને તમારા વડીલો તો છેક કર્ણદેવના વખતથી પાટણના મહારાજાઓનો કસ કાઢતા આવેલ છે એવું સાંભળ્યું છે.”

તેજપાલે બેઠાં બેઠાં જ પેલાને વધુ બોલતો અટકાવીને કહ્યું: “મારા વડીલોની વાત કૃપા કરીને આંહીં ન કરો.”

આટલા શબ્દોએ મહાજનસમસ્ત પર એક આંચકો માર્યા જેવી અસર કરી. કેમ કે એકાદ વર્ષથી ધોળકામાં આવેલ આ નાનકડા વ્યાપારીને કોઈએ ઊંચે અવાજે બોલતો પણ નહીં સાંભળેલો.

“તે ઠીક છે,” વામનદેવે વાગ્ધારા ચાલુ રાખી: “પણ તમે શેઠ, નવા ન કહેવાઓ, તમે આંહીંના મહાજનનો વિનય પણ નથી જાણતા. તમે કૃપાળુમામાને અભિવાદન પણ નથી કર્યું. મૂઢની માફક બેસી ગયા છો. હશે, કૃપાળુમામા તો મોટા મનના છે, એને કાંઈ દુઃખ ધોખો નથી, પણ આપણી સાત પેઢી, આપણાં માવતર, આપણા ઘર-સંસ્કાર... આપણી કિંમત થઈ જાય. આપણી જણનારીનો બોજ...”

"શેઠજી !” તેજપાલે જરાક ઊંચા થઈને ફરી પાછો પેલાને બોલતો અટાકાવ્યો, “હું ફરી વિનંતી કરું છું કે મને જે કહેવું હોય તે કહો. મારી જણનારીની વાત આંહીં ન કરો.”

“તારી જણનારીની નહીં ભાઈ નહીં, અમે તો અમારી સૌની જણનારીની પ્રસ્તાપી વાત કરીએ છીએ.” પેલો ટીખળ કરવું છોડીને બીજે બળતો થયો.

“આપ આ શું લવો છો?” તેજપાલ અરધો બેઠો થઈ ગયો, “સૌની જણનારીઓનો શો અપરાધ છે? સૌની માતાઓ પૂજનીય છે. એમને અહીં ન સંડોવો, વામનદેવજી ! મશ્કરીની પણ હદ હોય છે.”

એમ બોલીને એ નીચું જોઈ ગયો. પાછળથી એનો હાથ ખેંચીને બેચાર જણા “રહેવા દો ભાઈ, આ સમય નથી, ભૂંડી થશે.” એવા શબ્દ બેસારવા લાગ્યા.

પણ મોટાભાગના વ્યાપારીઓને મૂંગી પ્રકૃતિના તેપાલના આ મિજાજે