પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાંત વીરત્વ
75
 

મા”

સાંગણે દાદર તરફ નજર કરી. એને જવું હતું.

“મામાને રસ્તો દો, ભાઈઓ !” તેજપાલે ગૌરવથી કહ્યું.

કેડી પડી ગઈ. મામાએ ચાલતી પકડી. દાદર પર ઊતરીને ડોકું દેખાતું રહ્યું ત્યારે બોલ્યા: “જોઈ લેજે, બેટમજી!”

"હું ધોળકામાં જ છું, મામા, ને રાણાની રજા લીધા વગર નહીં ચાલ્યો જાઉં. તમે પણ જાઓ તો સોમનાથની આણ છે. કુંવરપછેડો કે લૂંટ ? ધોળા દિવસની લૂંટ ! ઘરેઘરની લૂંટ ! અને મહાજન ઉપર રહીને લૂંટાવશે ! ધિક્ હજો.”

એમ કહેતો તેજપાલ નીચે ઊતર્યો. ને એણે ઊભી બજારની વાટ મક્કમ પગલે કાપવા માંડી. એ બોલતો જતો હતો: “કુંવરપછેડાને નામે લૂંટા ! કાળી લૂંટ ! મહાજન દેશે તો ગરીબો કેમ કરી ના કહેશે? આપણા ધણી કોણ છે, ભાઈઓ ! મામો કે રાણો?”

"રાણો.” લોકોના ટોળાએ પોતાની હંમેશની પ્રકૃતિ મુજબ આ શબ્દ ઝીલ્યો. તેમણે મામા સાંગણને નાસતો જોયો હતો. નવાજૂની જાણી લીધી હતી. હિચકારાઓ પણ અંદરથી તો વીરપૂજક જ હોય છે, એટલે તેજપાલ સર્વનો વીરાદર્શ બની જતાં વાર ન લાગી. એ બોલતો ગયો:

"રાણાજી વીરધવલ આંહીં નથી. એ બાપડાજીવ ભૂખે ને તરસે પાટણ ને ધોળકા વચ્ચે ઘોડાં દોટવે છે. એના હોઠ તો 'પ્રજા મારી પ્રજા!' કહેતાં સુકાય છે, ને આંહીં પ્રજાને પારકાઓ 'મામા' બની ફોલી ખાય છે.”

એના પડઘા પ્રજાજનોએ આ રીતે ઝીલ્યા –

“મામા જ કાળાં કામ કરે છે.”

"મામો કંસ છે.”

“મામો લૂંટારો છે.”

“મામો પરદેશી છે.”

આવાં સૂત્રો એ જ બજારમાં ગાજી રહ્યાં, જ્યાં એકાદ ઘટિકા પહેલાં 'મામાશ્રી બોલાવે છે' એ શબ્દ કાયરો કંપતા હતા.