પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કવિશ્રી
83
 

અસવારો હસવું ખાળતા હતા. હસવાના અવાજો સાંભળીને વસ્તુપાલે પાછળ જોઈ લીધું. એક સવારે હળવું રહીને કહ્યું: “રાણાજી...”

એ જ વખતે પાછળથી કશીક બૂમ સંભળાઈઃ “ઊભા રહો, એ ઊભા રહો.”

ધૂળના થંભા રચતો એક ઊંટ ઘુમ્મરી ખાતો પછવાડે આવી રહ્યો હતો. અસવારો થંભી ગયા.

“આ તો જેહુલ ડોડિયો લાગે છે.” મુખ્ય ઘોડેસવારે ઊંટના સવારને ઓળખ્યો.

ખેભર્યા તાતા ઊંટની મારમાર ગતિને ચાલાકીથી અવરોધીને એ અસવારે શ્વાસભર્યો સંદેશો સંભળાવ્યોઃ “રાણાજી ! ઉતાવળા થઈને આગળ જાશો મા. ધોળકું વિફરી ગયું છે. રાજગઢ ઘેરી લીધો છે.”

"ક્યારની વાત કરછ, ડોડિયામાં મુખ્ય ઘોડેસવાર કે જે રાણા વીરધવલ તરીકે ઓળખાઈ ગયો હતો તેણે પૂછ્યું.

"ગઈ કાલ રાતની. હું તાબડતોબ આપને તેડવા નીકળ્યો છું. અરધ પંથે આપ નીકળ્યાના ખબર મળતાં પાછો વળ્યો. જાઓ મા, રાણા” .

“શું છે પણ?”

“મામો સાંગણ કાંઈક અવળું કરી બેઠા. મહાજન અને વસ્તી વીફરી ગયાં – તેજપાલ શેઠ...”

“તેજપાલ શેઠ? શું?" રાણા વધુ ચમક્યા.

“એણે મામાની તલવાર આંચકી, વસ્તીને પડકારી, ને રાજગઢ ઘેરીને પડ્યા છે. કહે છે કે સાંગણમામાને બહાર હાજર કરી દો.”

“સાંગણ ક્યાં છે?”

“સરકી ગયા છે ને ભાંંડાગાર (જામદારખાનું) ખાલીખટ પડ્યું છે. મામો બધુંય લઈને....”

"તેજપાલ શેઠે તલવાર ઝૂંટવી, ને મામો ભાંડાગાર લઈને સરકી ગયા. આ બધું શું?” રાણા વીરધવલ નામના એ સવારે વસ્તુપાલ સામે નજર કરી. વસ્તુપાલ આભો બનીને ઊભો હતો.

પાછળ ઊભેલા સવારોએ પોતાની તલવારોની મૂઠ પર પંજા દબાવ્યા. અને એમની વચ્ચે ગરમાગરમ ઉગારો ઊડ્યાઃ “વાણિયા !"

"રાતોરાત કોણ જાણે શું થઈ હશે રાજગઢ માથે, બાપુ” જેહુલ ડોડિયાના શ્વાસ હજુ શમ્યા નહોતા.

“રાણાજી !" વસ્તુપાલે કહ્યું, “મેં આપને ઓળખેલા નહીં. મને કશી જાણ