લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
ગુલાબસિંહ.

અસત્ય કલ્પનાઓને ઓપ ચઢાવી પરમ કલ્યાણરૂપે દર્શાવવાના સ્વાર્થને પણ શું તું ઓળખી શકતો નથી ? એવી સ્વદેશદ્રોહી વાતો કાને પણ કેમ પડવી જોઈએ ? તમને મારી મારીને ટુકટા કરશે, અને દીન દીન પોકારી સત્યાનાશ વાળશે, એમના ધર્મમાં ઐક્ય છેજ ક્યાં ? ઐક્ય એટલે શું ? બહારના વ્યવહારનું ઐક્ય થાય જ કેમ ? આંતર્‌ તત્ત્વભાવનાથી અભેદ રૂપે ઐક્ય છે, પણ પોતાનેજ ખરા માની અન્યને કાફર કહેનાર લોક તેને ક્યાંથી સમજી શકે ? પોતાની વાત ન કબુલ કરે તેમને મારવા, એ જેનો નિયમ, તે તે આવી વાત પણ કેમ ઉચ્ચારી શકે ? કદાપિ કહે તો પણ શું ? રજપૂતોમાં એમ છેક પાણી નથી કે આવી વાતોને નામે અસત્ય અને અનાચારને પોતાના દેશમાં પેસવા દે ! કે એ નિર્જીવ મ્લેચ્છને અહીં બેસવા દે ? સર્વ સમાનતા તો આપણને પણ ક્યાં કરતાં નથી આવડતી ? પણ આજે સર્વ સમાન બનાવીએ તો બીજેજ દિવસ એવી કોઈ અસમાનતા જરૂર બનવાની કે જેથી વળી ફરી વ્યવસ્થા કરવાની જરૂર પડે. આમનું આમ ઉત્તરોત્તર થયાંજ જવાનું; માટે એવી ગપ્પો ઉપર વિશ્વાસ ન કરતાં ખરી સત્યભક્તિ અને ખરી દેશભક્તિ રાખી ચોહાણની પક્ષે રહેવામાંજ તમારો ધર્મ છે ને તમારું કલ્યાણ છે એ વાત ખુબ લક્ષમાં રાખો.”

“ત્યારે શું સંસારમાં જે દુઃખદાયક અસમાનતા છે તે કદાપિ દૂર થવાનીજ નહિ ?”

“સ્થૂલદેહ સંબધી જે અસમાનતા તેજ દૂર થાય એવી નથી ત્યાં સૂક્ષ્મદેહ સંબંધીની તો વાત જ શી ? દુનિયામાં સર્વની બુદ્ધિ, નીતિ, ગુણ, સમાનજ ! કોઇ કોઇને ઉપદેશ કરનાર ક્યાંથી જ હોય ! આવી સ્થિતિ જો અશક્ય ન હોત તો માણસ જાતિનું શું થાત ? પણ નહિ, જગત્‌ ચાલે છે ત્યાં સુધી તો સૂર્યનાં કિરણ મેદાનમાં આવતા પહેલાં ઉંચાં ગિરિશિખરને વેહેલાં તેજિત કરવાનાજ. ગમે તો આજે સવારે તમામ લોકોને, દુનિયામાં જે જ્ઞાન છે તે સરખે ભાગે વહેંચી આપો, પણ ખાતરી રાખજો કે આવતી સવારે કોઈને કોઈ બાકીના કરતાં વધારે ડાહ્યાં જાગી ઉઠવાનાંજ, આ નિયમમાંજ માણસનું શ્રેય છે, એથીજ દિનપ્રતિદિન માણસની સુધારણા ચાલી આવે છે અને છેવટ જે ભૂમિકા ઉપર સર્વથા ઐક્ય છે ત્યાં પહોંચવાની દૃષ્ટિ ઉઘડે છે.”

આમ વાત કરતાં ગુલાબસિંહ ને લાલાજી ખીલી રહેલા બગીચામાં