પ્રકરણ ૮ મું.
પોતાની સ્થિતિનું ભાન.
જમનાના કીનારાથી અર્ધાએક માઈલને છેકે, દિલ્હી શેહેરથી થોડે દૂર, એક ઉંચા ટેકરા ઉપર ભવાનીનું મંદિર હતું. એ સ્થાનને દેવીના નિવાસની પવિત્રતાને લીધે જે માન મળે, તે કરતાં તે દેવીના પ્રભાવથી ત્યાં વસતી સમર્થે ભૂતાવળને લીધે, વધારે માન મળતું હતું, ચોહાણ રાજાઓની એ કુલદેવી હતી, કવિવરશિરોમણિ કાલીદાસે સ્થાપન કરેલી એવો લોકપ્રવાદ તેના વિષે ચાલતો હતો. રવિવાર, કે બીજા કોઈ પર્વના દિવસો સિવાય એ સ્થલની શાન્તિનો ભંગ થતો નહિ, એટલે રમા, વારંવાર, પોતાના ઘરથી તે સ્થલ બહુ દૂર ન હોવાથી, ત્યાં જઈ બેસતી. ભવાનીને નમન કરી, દેવલના ઉંચા ઓટલા પરથી, એક તરફ જમનાનો મંદ મંદ પ્રવાહ જોઈ આનંદ પામતી, બીજી તરફ ઠીંગણા જણાતા લોકોની દોડાદોડ જોઈ દુનીયાંની નિઃસારતા વિચારતી – અને પાણીના પ્રવાહ જેવી અનિત્ય, નિઃસાર દુનીયાંમાં તણાતા નાના નાના જીવ દુઃખમાં એ સુખ માને છે, એવું એનો આત્મા, જાણે જ્ઞાનરૂપી પર્વતની ટોચે ચઢ્યો હોય એમ, માની લેતો. આજ મધ્યાન્હે રમા ત્યાં બેઠી છે, બધું નીહાળતી નીહાળતી, દૂર જણાતાં હિમાલયના ધવલ શિખરને જોઈ રહી છે. બીજી તરફ મથુરાના કાંગરા જોઈ પ્રેમમૂર્તિ કૃષ્ણનો વિચાર કરતી પ્રેમમાં લીન થઈ ગઈ છે – ધવલતા, પ્રેમ, - નિર્દોષ શુદ્ધ પ્રેમ ! રમાનું હૃદય મહા ગંભીર આનંદમાં તણાય છે, વૃત્તિમાત્ર શૂન્ય થઈ ગઈ છે, પણ હિમાલયની નિઃસીમ ધવલતામાં, જ્વાળામુખીના શિખરથી, ઝીણી ધૂમ્રપતાકા નજરે પડે છે. ધવત્રતામાં ધૂમ ! રમાના અગાધ પ્રેમમાં, અણચિંતવ્યોજ કોઈનો શબ્દ ધબ લઈને આવી પડે છે, એનું મનોરાજ્ય વિખેરી નાખી એને જાગ્રત્ કરી દે છે ! જાણે ભોંયમાંથી જ એ સ્થલમાંનાં અસંખ્ય ભૂતમાંનું કોઈ ભૂત નીકળીને ઉભું હોય, એવી રીતે એકાએક એની પાસે આવી ઉભેલા માણસને, તથા ભૂત જેવાજ તેના વેષને જોઈ રમાથી ચીસ પડાઈ જવાઈ, અને એનું મોં ફીકું પડી ગયું.
“બીહીશ નહિ, જવાન નાજની !” પેલા માણસે હસતે મોંએ કહ્યું, “ડરવાનું કારણ નથી; મારા મોં સામું જોઈને ભડકે છે શાની ? પરણ્યા પછી બે ત્રણ