પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
ગુલાબસિંહ.

ગુલાબસિંહ થોભ્યો, અને લાલાને બાજુ પર લેઈ જઈ ગંભીરવદને બોલ્યો “જવાન મર્દ ! આપણે આજ રાત્રીએ ફરીથી મળવું પડે તેમ છે. પ્રાતઃકાલનાં કિરણ ફૂટતા પહેલાં તારે તારા ભાવીનો નિર્ણય કરવાની આવશ્યકતા છે. જેના ઉપર તું પ્રેમ દર્શાવે છે તેનેજ તેં અપમાન આપ્યું છે, એ મારા જાણવામાં છે. પણ થયેલી ભુલ સુધારવી, ગમે ત્યારે, પણ સુલભજ છે. તારા મિત્રને પૂછતો ના; એ ડાહ્યો છે, બુદ્ધિમાન્‌ છે – પણ હાલ એના ડહાપણની જરૂર નથી. માણસના જીવિતમાં એવી ઘણી ક્ષણો આવે છે કે જે વેળાએ બુદ્ધિ કરતાં કલ્પના – મન કરતાં હૃદય – તેની સલાહ લેવાની વધારે જરૂર હોય છે, તારા જીવિતની આ ક્ષણ તેવી છે. તારો ઉત્તર હું હમણાંજ માંગતો નથી; તારા વિચાર સ્થિર કર, ગભરાટ મટાડ, હજી મધ્યરાત્રીને વાર છે. હું તને મધ્યરાત્રીએ મળીશ.”

“અગમ્ય વિલક્ષણ, વિધાતા !” લાલાજી એ ઉત્તર વાળ્યું “જે જીવિતને તે ઉગાર્યું છે તે જીવિત હવે હું તારેજ શરણ કરું છું; કેમકે મેં આજ રાત્રીએ જે જોયું છે તેથી મા પણ મારા હૃદયમાંથી ઉખડી ગઈ છે. પ્રેમ કરતાં પણ વધારે પ્રબલ કોઈ વૃત્તિ મારા લોહીમાં ઉકળી ઉઠી છે. સામાન્ય મનુષ્યોની સમાન થવાની નહિ, પણ તેનાથી ઉચ્ચતર થવાની વૃત્તિ– તારા પોતાના જીવિતનું રહસ્ય સમજવાની અને અનુભવવાની વૃત્તિ – અલૌકિક જ્ઞાન અને દિવ્યશક્તિ પામવાની વૃત્તિ મારા મનમાં છવાઈ રહી છે. મેં મારો નિશ્ચય કર્યો. મારા પૂર્વજના નામની આણ દઈ હું તને તારા શબ્દો યાદ કરાવું છું. મને ઉપદેશ આપ; મને ભણાવ; મને તારો શિષ્ય કર— આટલુંજ કબુલ કર, એટલે જે સ્ત્રીને પ્રાપ્ત કરવા હું બધા જગત જોડે વેર બાંધવા તૈયાર છું તે સ્ત્રી તારે હવાલે કરૂં.”

“મારૂં વચન માન, સારી પેઠે વિચાર કર, એક પાસ મા; પ્રેમમય, આનંદપૂર્ણ ઘર; શાન્ત સુખમય જીવિત — બીજી પાસ સંપૂર્ણ અંધકાર, જેમાં આ આંખો પણ જોવાને સમર્થ નથી.”

“પણ તેં મને સમજાવેલું છે કે જો હું માને પરણું તો મારે વ્યાવહારિક સામાન્ય જીવિતમાત્રથી જ સંતોષ માનવો પડશે — જો એમ ન કરૂં તો મને તારૂં જ્ઞાન અને તારૂં સામર્થ્ય મળશે.”

“લોભી માણસ ! જ્ઞાન અને સામર્થ્ય તે સુખ અને નીરાંત નથી.”