પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯
મધ્યરાત્રીએ મળીશ.

“પણ સુખ કરતાં અધિક છે. બોલ; હું માને પરણું તેમ છતાં પણ તું મારો ગુરુ થશે ? આટલુંજ કબુલ કર, એટલે મારો નિશ્ચય થઈ રહ્યો.”

“એમ બનવું અશક્ય છે.”

“ત્યારે હું એને કાંઈ કામની ગણતો નથી. અગાધ જ્ઞાનના ભંડાર ઉપર તાલુ દેનારની કાંઇજ કીંમત નથી. હું પ્રેમનેજ રામરામ કરૂં છું, સુખને નમસ્કાર કરૂં છું, એકાંતવાસ અંગીકાર કરૂં છું, નિરાશામાં આશાવાન્‌ થાઉં છું. જો એજ તારા અંધારા ઓરડાના દ્વારની કુંચી હોય તો તે બધાંને હું હૃદય સાથે સાંધું છું.”

“તારો નિશ્ચય મારે હાલ જાણવો નથી, આજ રાત્રીના છેલ્લા ચોઘડીઆમાં હું તે માંગીશ, ને તે તારે એકજ શબ્દથી જ જણાવવો જોઈશુ – હા કે ના. ત્યાં સુધી રામ રામ.”

ગુલાબસિંહ પોતાને હાથે રામ રામ કરતો કરતો ચાલ્યો ગયો તે ક્યાં ગયો એ પણ જણાયું નહિ. લાલો પોતાના અધિરા થઈ ગયેલા તથા આશ્ચર્યમાં પડેલા મિત્ર પાસે ગયો. રામલાલે લાલાના મોં સામુ જોયુ તો એને ઘણો મહાટો ફેરફાર નજરે પડ્યો. જુવાનીનો આનંદમય તોર તથા ખુશમિજનાજ કોણ જાણે ક્યાંએ ઉડી ગયાં હતાં. એની મુખમુદ્રા કઠોર, શૂન્ય તથા શુષ્ક થઈ હતી – એક ઘડીએ અનેક વર્ષ જેટલી અસર કરી નાખી હતી.