પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
ગુલાબસિંહ.

પ્રકરણ ૧૨ મું.

છેવટ નિર્ણય.

રામલાલ અને લાલાજી પાછા સાંઢણી ઉપર ચઢી દિલ્હી તરફ દોડતા ચાલ્યા જાય છે. જ્વાલામુખીથી દિલ્હી પહોંચતાં હજી વાર છે, પણ મધ્ય રાત્રીનો સમય થયો છે. ચંદ્રપ્રકાશ પાકો થઈ ધીમે ધીમે નમવા લાગ્યો છે. ચોતરફ વૃક્ષનાં વનોમાં તમરાંના નાદથી ભૂમિ ગાજી રહી છે. મુસાફરોના કાનમાં તમરાંના ગાન ઉપરાંત, સાંઢણીના વેગનો સરસરાટ પણ રમી રહ્યો છે. લાલાજી ગુમ થઈ વિચારમાંજ પડી ગયો છે, રામલાલ પણ કાંઈ બોલવાનું મન કરી શકતો નથી — ક્યારે દિલ્હી પહોંચાય ને નીરાંતે જંપીને લાંબી ઉંઘ લેવાય એવા વિચારમાં દોડતા ચાલે છે. સારા ભાગ્યે મઠના સાધુઓએ રસ્તો પણ સીધે સીધો બતાવી દીધો છે, એટલે અથડાયા વિના સત્વર મુકામે જવાની આશામાં સાંઢને ચમકાવી મૂકી છે. પાસેના કોઈ સાધુસંત પોતપોતાની પર્ણકુટીમાં જાગ્રત થઈ પાછલી રાતે બ્રહ્મધ્યાન માટે તત્પર થાય છે. પ્રાતઃકાલે પાસે આવવાનો સમય છે; છેલા ચોઘડીઆમાં શંખનાદ થયો, લાલાજી ચમક્યો, અને એજ ક્ષણે જાણે ભોંયમાંથી ખડો થાય તેમ એક ઘોડેસ્વાર આવી લાલાની સાથે ચાલવા લાગ્યો.

“અહો ! પાછા આપણે ભેગા થઈ ગયા કે !” રામલાલે ગભરાઈ જઈ કહ્યું.

“તમારા! મિત્ર સાથે મારે કેટલીક વાતચીત કરવાની છે” ગુલાબસિંહે લાલાની પાસે પોતાનો ઘોડો ફેરવી જતાં કહ્યું “તે હમણાંજ પતી જશે. તમે આગળ ચાલતા થાઓ.”

“એકલોજ !”

“કાંઈ ભય નથી ” ગુલાબસિંહે જરા મશ્કરીના ડોળથી કહ્યું.

“મારે તો કાંઈ નથી, પણ હું તો લાલાને માટે કહું છું.”

“મારા તરફથી ભય ! — હા – ખરી વાત છે.”

“ચાલતો થા પ્યારા રામલાલ ! ચાલતો થા. તું અર્ધો કોસ પણ નહિ કાપે તે પહેલાં હું તને આવી મળીશ.”