પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
ગુલાબસિંહ.

મનોભાવને અમરતાના ભવ્ય અને નિર્ભય એકાન્તમાં પણ સાથે રાખવા આગ્રહ ધર્યો, તે માટે તારે શોક કરવો પડશે.”

“હું પશ્ચાત્તાપ કરતો નથી, કરનાર પણ નથી” ગુલાબસિંહ બોલ્યો “જે આનંદોન્માદ અને વિષયદુઃખનો વિલક્ષણ વ્યતિકર મારા ભાગ્યની વિચિત્ર ભૂમિકા ઉપર પ્રસંગે પ્રસંગે જામે છે તે તારા એકાન્ત માર્ગના નિર્જીવ અને તેથી શાન્ત વૈભવ કરતાં વધારે ઉત્તમ છે; તને કશાનો રાગ નથી, કશાનો દ્વેષ નથી, કશા ઉપર વૃત્તિ નથી; તું આ વિશ્વમાં નિઃશબ્દ અને નિરાનંદ પગલે સ્વપ્નવત્ ફરે છે ! મારે હજી વાર છે; ભાવિનો અગ્નિ હજી અનુભવમાં આ અંતર્‌ને તાવી જોશે. અને તારા જેવા જડ જીવિત કરતાં એ તાપ પણ મને વધારે સારો લાગશે.”

“તારા સમજવામાં ભૂલ છે.” ત્સ્યેન્દ્રનું નામ ધારણ કરનાર વ્યક્તિએ કહ્યું “જોકે મને પ્રેમની દરકાર નથી અને પાંચભૌતિક શરીરોને જે વૃત્તિઓ આંદોલિત કરે છે તે પરત્વે યદ્યપિ હું મૃતપાય છું, તથાપિ એ સર્વથી જે આનંદ ઉદ્ભવતો હશે તેનો ઉત્તમાંશ ભોગવવામાં હું તેવો નથી. ભ્રમર અનેક પુષ્પો ઉપર બેશી સર્વ રસમય એવું મધુ પેદા કરે છે, શું તે પુષ્પે પુષ્પને સાથે લાવે છે ? મધુબ્રાહ્મણમાં સર્વ આનંદના એક આનંદરૂપ સાક્ષાત્કારની પ્રક્રિયા કેવી કહી છે ? અમિત કાલના પ્રવાહમાં વહેતાં હું યૌવનના સ્વચ્છંદી આવેશોને મારી સાથે ઘસડી જતો નથી, પણ વયના પ્રભાવે પ્રાપ્ત થતા આત્મપ્રસાદના શાંત વૈભવને સાથે રાખું છું. જ્યારે મેં મારા ભાગ્યને પ્રાકૃત માનુષભાગ્યથી નિરાલું કર્યું ત્યારે મેં બહુ દીર્ધદૃષ્ટિથી અને નિશ્ચયપૂર્વક વિચારથી યૌવનનો ત્યાગ કર્યો છે. વૃદ્ધજ થઈ જવામાં મેં નિર્ભય શાન્તિ દીઠી છે; ભાવિને પરાસ્ત કરવાનો યોગ સાધ્યો છે. અન્યોન્યની ઇર્ષ્યા કરવામાં કે અન્યોન્યને ઠપકો દેવામાં ફલ નથી. હું આ દિલ્હીવાસીને બચાવવા ખુશી છું. ગુલાબસિંહ ! (કારણ કે એ જ નામ હવે તને પસંદ પડ્યું છે) એનો પ્રપિતા આપણાથી માત્ર અતિ સૂક્ષ્મ અંતરેજ ભિન્ન હતો, અને આ માણસમાં પોતામાં પણ એના પૂર્વજનાં બલવીર્ય પ્રતીત થાય છે. પૃથ્વી ઉપર એવા બહુ થોડા હોય છે કે જેને કર્મના નિર્દય નિયમે ખરી કસોટીએ ચઢી પાર ઉતરવા જેવા ગુણો આપેલા હોય ! પણ દીર્ધ પરિચય અને વિષયાસક્તિથી એનો આત્મા છેક ઢંકાઈ ગયો છે, એની સ્થૂલ ઇંદ્રિયો મત્ત થઈ ગઈ છે, ને એનું સૂક્ષ્મ છેક પાણી વિનાનું થઇ ગયું છે. એને એના કર્મવિપાકનેજ સ્વાધીન રહેવા દેવો જોઈએ.”