પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૮
ગુલાબસિંહ.


તરંગ ૬ ઠો.

પ્રકરણ ૧ લું.

પ્રેમની કિંમત.

જે ક્રમાનુસાર આ વાર્તાનો વૃત્તાન્ત વિસ્તરતો ચાલ્યો છે તે પ્રમાણે જોતાં ગુલાબસિંહ અને મા પ્રયાગના કીનારા ઉપરથી ચાલી નીકળ્યાં તે બનાવ લાલો અમરશહરમાં આવ્યો તે પછી બનેલો છે. ગયાજીના પવિત્ર ધામમાં બુદ્ધદેવના સ્થાનની સમીપ એક ભવ્ય પ્રસાદમાં એ પ્રેમી યુગલે અનંત સુખ પરંપરાનો અનુભવ કરવા નિવાસ કર્યો છે. ઉભય પ્રેમનું એકત્ર સ્થાન-બાલક પ્રાપ્ત થવાનો પણ સમય છે. યા જેવા પવિત્ર સ્થાનમાં બધો દિવસ યાત્રાલુઓના ભરાવાથી જે ગરબડાટ મચી રહે છે તે શાન્ત પડ્યો હતો, બુદ્ધદેવના મંદિરમાંથી મોડામાં મોડા ઘેર જનારા સાધુ ઘર તરફ જઈ ચૂક્યા હતા. આવા શાન્ત સમયે પણ પાસેના મહાલયમાં દીવા આમતેમ ફરે છે એવું દૂરથી અજવાળું દેખનારને જણાતું હતું. એ સ્થાન એ સમયે ત્રાસ અને દુઃખનો નિવાસ થઈ રહ્યું હતું.

“વૈદ્યરાજ ! આ દાઈ જે સમાચાર કહે છે તે ઉપર યથાર્થ વિચાર કરી આપ કોઈ એવી માત્રા બતાવો કે જેથી એનો પ્રાણ ઉગરે. આખા શહરમાં ધનાઢ્યમાં ધનાઢ્ય જે હશે તેના કરતાં પણ આપને હું અધિક ધનવાન્ કરીશ.”

“મહારાજ ! ” વૈદ્યે કહ્યું “આપ ગમે તેટલું દ્રવ્ય આપો પણ દ્રવ્યને મોત ગાંઠતું નથી, ઈશ્વરની આજ્ઞા દ્વવ્યથી ફરી શકતી નથી, મહેરબાન સાહેબ ! આ બે ચાર ધડીમાંજ જો તમારાં ને તમારા પૂર્વજનાં પુણ્ય આડે આવે તો ઠીક, નહિ તો આપે બહુ ધૈર્ય રાખવું.”

અહો ! ગુલાબસિંહ ! ગુપ્ત વિદ્યાના ઉપાસક ! અપરિમિત સામર્થ્યના ધણી ! જગત્‌ના રાગ દ્વેષમય કલહની વચમાં થઈને જેણે અવિકૃત વદને માર્ગ સાધેલો એવા હે મહાત્મા ! છેવટ તું પણ ભયના તોફાની દરિયાને મોજે ચઢ્યો !! તારો આત્મા હવે ઘૃર્ણાયમાન થયો છે ! તને યમરાજનાં બલ અને ભવ્યતા સમજાયાં છે ! અમરને પણ મરણનું ભય પેઠું છે !