પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૯
પ્રેમની કિંમત

કૃમિતાથી સ્વાભાવિક જીવનને ઉગારવાને અશક્ત એવા વૈદ્ય આગળથી ગુલાબસિંહ ખશી ગયો–દોડ્યો, નાઠો, મહોટાં દીવાનખાનાં, અને છજાંમાં થઈ, જેમાં કોઈને પણ પ્રવેશ ન હતો એવી એક એકાન્ત કોટડીમાં ભરાયો. લાવ હવે તારું અક્સીર અને ઔષધિ કાઢ. અરે ! શાન્ત શ્વેત પ્રકાશ ! જ્યોતિ ! તેનું દર્શન લે. કેમ ? સાક્ષાત્ શંકર કેમ આવતા નથી ? તારી આજ્ઞા કેમ માનતા નથી ? યોગિરાજ ! તમારો યોગ્ય તૂટ્યો? નિરવધિ આત્મબલ ઉપર સ્થાપેલું તારૂં રાજ્ય ગયું? શા માટે ફીકે મુખે ધૃજે છે ? તારા વચનમાત્રથી જ્યારે તું ઈચ્છે તે સિદ્ધ થતું ત્યારે તો તું આવો ન હતો. જ્યોતિર્મય સત્ત્વો ફીકે મુખે પૂજનારને વશ થતાં નથી; એ સત્ત્વો ઉપર નહિ અક્સીરનો, નહિ ઔષધિનો, નહિ જ્યોતિર્મય પ્રકાશનો, પણ કેવલ આત્માનો અમલ છે. અને તારો આત્મા ! તેના હાથમાંનો રાજ્યદંડ પ્રેમ અને મૃત્યુએ છીનવી લીધો છે, તેને માથેથી મુકુટ તેમણે પાડી નાખ્યો છે.

છેવટ દીપપ્રભા ઝાંખી થવા લાગે છે, આસપાસ એક પ્રકારની ભયકારક શાન્તિ જેવું લાગે છે – કોઈક અમાનુષ સત્ત્વ, ધૂમ્રમય આકૃતિ, સમીપમાં પ્રત્યક્ષ થાય છે. થોડેક દૂર તે લપાઈને ઉભી છે. ને તારા ઉપર પોતાની દ્વેષમય, ક્રોધમય, કારી આંખ લગાડી રહી છે.

“ કેમ યોગિરાજ ! — અનંત યુગથી યૌવન સાચવી રહેનાર જવાન ! આનંદ અને કાન્તિની ઉપેક્ષા કરી હિમાલયના ટાઢા બરફ જેવું હૃદય રાખી તેં મારો અનાદર કર્યો હતો, અને મૃત્યુને માથે મેખ મારવાની કલા હાથ કરી હતી, તેજ તું આજ મૃત્યુથી ડરે છે ? ત્યારે તારા જ્ઞાનની ગતિ એક વર્તુળ જેવી જ છે ? જ્યાંથી તું નીકળ્યો હતો ત્યાંને ત્યાંજ પાછો આવ્યો ! આપણને મળ્યાને હજારો વર્ષ વીતી ગયાં — પણ પાછા આપણે ભેગા થયા !”

" ભલે મળ્યા તો શી ફીકર છે; મને તારું લેશ પણ ભય નથી. તારી આંખના અગ્નિમાં હજારો ભોગ થઈ ગયા છે, તારી આંખ જ્યાં જ્યાં પડી છે ત્યાં ત્યાં મનુષ્યહૃદયનો સ્વચ્છ ઝરો ક્લેષ, દુઃખ, પીડા, કલહ, વૈર આદિથી અતિ કલુષિત થયો છે, તારી આંખને વશ થનારા ગાંડા થઈ ગયેલાના મગજમાં કે કાળાં કર્મ કરનારના અંધારા એકાન્તમાં તું સર્વદા વિદ્યમાન રહી ત્રાસ પેદા કરતો રહ્યો છે, — તથાપિ તું મારો પરાજય કરી શક્યો નથી, શકનાર નથી; તું મારો ગુલામ છે.”